80થી વધુ વકીલોની બેઠકમાં લડત તેજ કરવાનો સંકલ્પ
રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચની માંગને મળ્યો સૌરાષ્ટ્ર-કચ્છનો સાથ
કાયદામંત્રી બાદ હવે ચીફ જસ્ટિસ, સાંસદો અને ધારાસભ્યો સમક્ષ ફરી રજૂઆતો થશે; સૌરાષ્ટ્ર-કચ્છ બાર એસોસિએશનોએ રાજકોટ બારની લડતમાં જોડાવાનો ટેકો જાહેર કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે હાઇકોર્ટની સર્કિટ બેન્ચ સ્થાપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને હવે સૌરાષ્ટ્ર અને કચ્છના વિવિધ બાર એસોસિએશનોનું પણ સમર્થન મળવા લાગ્યું છે. આ મુદ્દે શનિવારે રાજકોટના રેસકોર્સ વિસ્તારની એક ખાનગી હોટલમાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાંથી આવેલા બાર એસોસિએશનના હોદ્દેદારો તથા આશરે 80 જેટલા વકીલો હાજર રહ્યા હતા. બેઠકમાં આંદોલનને વધુ વ્યાપક અને અસરકારક બનાવવા માટે આગામી રણનીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજકોટ બાર એસોસિએશન છેલ્લા એક વર્ષથી હાઇકોર્ટ બેન્ચની માંગને લઈને સક્રિય અભિયાન ચલાવી રહ્યું છે. અગાઉ રાજ્યના કાયદામંત્રી સમક્ષ પણ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં હકારાત્મક અભિગમ મળ્યાનો દાવો કરવામાં આવ્યો છે. હવે આ મુદ્દે ફરી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર, ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ, સૌરાષ્ટ્રના સાંસદો અને ધારાસભ્યો સમક્ષ લેખિત રજૂઆતો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ પરેશ મારૂએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના લોકોને ઝડપી, સરળ અને ઓછા ખર્ચે ન્યાય મળી રહે તે માટે રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ અત્યંત જરૂરી છે. આ માંગને હવે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છના બાર એસોસિએશનોનો ટેકો મળતા લડત વધુ મજબૂત બનશે.
બેઠક દરમિયાન રજૂઆત કયા સ્તરે કરવી, કયા મુદ્દાઓને પ્રાધાન્ય આપવું, વિવિધ જનપ્રતિનિધિઓને કેવી રીતે સાથે જોડવા અને જરૂર પડે તો કાયદાકીય તેમજ આંદોલનાત્મક માર્ગ અપનાવવો કે નહીં તે સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. 1983માં થયેલા આંદોલનનો પણ ઉલ્લેખ થયો હતો અને જરૂરી બને તો વધુ ઉગ્ર કાર્યક્રમો અંગે વિચારણા કરવાની તૈયારી દર્શાવવામાં આવી હતી.
બેઠકમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર અને કચ્છના બાર એસોસિએશનના હોદ્દેદારોએ રાજકોટ બારની માંગને સમર્થન આપતાં જણાવ્યું હતું કે જરૂર પડશે ત્યારે તેઓ આ લડતમાં સક્રિય રીતે જોડાશે અને સંયુક્ત રીતે સરકાર સમક્ષ હાઇકોર્ટ બેન્ચની માંગ ઉઠાવશે.
સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં હાઇકોર્ટની સર્કિટ બેન્ચની માંગ ચાર દાયકાથી વધુ સમયથી કરવામાં આવી રહી છે. આ વિસ્તાર રાજ્યના મોટા ભૌગોલિક વિસ્તારને આવરી લે છે અને ગુજરાત હાઇકોર્ટમાં નોંધાતા નોંધપાત્ર પ્રમાણના કેસો પણ આ વિસ્તારમાંથી આવે છે. રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ શરૂ થાય તો અમદાવાદ સુધીની અવરજવર, સમય અને ખર્ચમાં ઘટાડો થશે તેમજ સામાન્ય નાગરિકોને ન્યાય વધુ સુલભ બની શકશે.


