વિદ્યાર્થીઓના ન્યાય માટે શેરી-ગલીથી લઈ ઓસ્ટ્રેલિયા સુધી યોજાયા ધરણાં
શિક્ષણ મંત્રીના રાજીનામા અને મૃતક વિદ્યાર્થીઓને સહાયની માંગ સાથે ‘લોકસંસદ વિચાર મંચ’નું વિરોધ પ્રદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદ્યાર્થીઓના ન્યાય, સમાનતા અને સ્વાભિમાન માટે ‘લોકસંસદ વિચાર મંચ’ દ્વારા અનોખો અને વ્યાપક વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા, NEETના પરીક્ષાર્થીઓ દ્વારા કરાયેલી આત્મહત્યા અને જંતર-મંતર ખાતે શહીદી વહોરનાર વિદ્યાર્થીઓના પરિવારોને વળતર તેમજ સોનમ વાંગચુકના સમર્થનમાં આ ધરણાં પ્રદર્શન હાથ ધરવામાં આવ્યા હતા. રાજકોટની ગલીઓથી લઈને સુદૂર ઓસ્ટ્રેલિયાના સિડની શહેર સુધી આ શાંતિપૂર્ણ વિરોધ ગુલાબના ફૂલ સાથે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
અહેવાલ મુજબ, રાજકોટ શહેર પોલીસ દ્વારા વિરોધ પ્રદર્શનો પર મૂકવામાં આવતી પાબંદી સામે મંચે ભારે રોષ ઠાલવ્યો છે. ગત રવિવારે ભક્તિનગર સર્કલ ખાતે ધરણાં માટે ભક્તિનગર PI, ટ્રાફિક PI અને ACP દ્વારા હકારાત્મક વલણ દર્શાવવા છતાં, ગાંધીનગરના આદેશ બાદ કાર્યક્રમના બે કલાક પહેલાં અરજદાર ગજેન્દ્રસિંહ ઝાલા તેમજ મંચના ૮ આગેવાનોની વિવિધ સ્થળેથી અટકાયત કરવામાં આવી હતી. મંચના આગેવાનોએ આરોપ લગાવ્યો છે કે રેસકોર્સમાં વિદ્યાર્થીઓ માત્ર ચર્ચા કરતા હતા ત્યારે પણ તેમની અટકાયત કરાઈ હતી, જ્યારે અન્ય રાજકીય પક્ષોને મંજૂરી વગર પણ આખો દિવસ ધરણાં કરવા દેવાયા હતા. પોલીસની આવી “એકને ગોળ અને બીજાને ખોળ” જેવી નીતિની મંચે કડક શબ્દોમાં આલોચના કરી છે.
પોલીસ દ્વારા વારંવાર મંજૂરી ના મંજૂર કરવામાં આવતાં, લોકસંસદ વિચાર મંચે વિરોધની નવી રણનીતિ અપનાવી હતી. લોકશાહીમાં શાંતિપૂર્ણ વિરોધના અધિકારને જાળવી રાખવા માટે આગેવાનોએ પોતપોતાના ઘરે જ મંજૂરી વગર (માત્ર પોલીસ સ્ટેશનમાં જાણ કરીને) એક-એક વ્યક્તિ તરીકે ધરણાં પર બેસવાનો નિર્ણય કર્યો હતો.
ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં લેખિત જાણ કરીને પોતાના નિવાસસ્થાને સવારે ૧૦ થી ૧૧ વાગ્યા સુધી શાંતિપૂર્ણ ધરણાં કર્યા, જ્યાં કાયદો-વ્યવસ્થા માટે પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો. એડવોકેટ ઈન્દુભા રાઓલ (વિષ્ણુ વિહાર સોસાયટી), દિલીપભાઈ આસવાણી (રેફ્યુજી કોલોની), પ્રવીણભાઈ લાખાણી (રેલ નગર), જેન્તીભાઈ હિરપરા (જામનગર રોડ), કૈલાશબેન વાઘેલા (કોઠારીયા સોલવન્ટ), પી.જે. પારેખ (કોઠારીયા રોડ), જશુબા વાંક (૧૫૦ ફૂટ રિંગ રોડ), નટુભા ઝાલા (ગોપાલનગર) અને સરલાબેન પાટડીયા (કૃષ્ણનગર) સહિતના આગેવાનોએ પોતપોતાના વિસ્તારમાં ધરણાં યોજ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે ગયેલા પટેલ નાગજીભાઈ વિરાણીએ પણ ત્યાંથી જ આ વિરોધ પ્રદર્શનમાં ભાગ લઈ પોતાનો સૂર પુરાવ્યો હતો.
લોકસંસદ વિચાર મંચે સ્પષ્ટ કર્યું છે કે આ સંઘર્ષ કોઈ વ્યક્તિ કે સંસ્થા સામે નથી, પરંતુ શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે છે. સત્ય, ન્યાય અને અહિંસાના માર્ગે ચાલીને જ પરિવર્તન શક્ય છે તેવા સંકલ્પ સાથે મંચે જાહેરાત કરી છે કે વિદ્યાર્થીઓની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આગામી દિવસોમાં પણ આ પ્રકારના કાર્યક્રમો તબક્કાવાર ચાલુ રાખવામાં આવશે.


