પ્રેમપ્રકરણ મામલે યુવકને ઢોર માર મારી મોતને ઘાટ ઉતારાયો
ચા પીવા જઈએ, કહી મિત્રો જ યુવકને સ્કૂટર પર લઈ ગયા ; બેભાન હાલતમાં ઘરે ફેંકી ફરાર થતાં સારવાર દરમિયાન મોત : ચાર આરોપી પોલીસના સકંજામાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં પ્રેમપ્રકરણને લઈ વધુ એક હત્યાની ઘટના સામે આવતા ભારે ચકચાર મચી છે. રૂખડીયા ફાટક વિસ્તારમાં રહેતા 23 વર્ષીય ઉમંગ રણજીતભાઈ જાખેલીયાને તેના જ પરિચિતોએ ‘ચા પીવા જઈએ’ કહી ઘરેથી બોલાવી લઈ જઈ ઢોર માર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં તેને સાંજે ઘરે મૂકીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. બાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઉમંગનું મોત થતાં સમગ્ર ઘટનાએ હત્યાનું રૂપ ધારણ કર્યું છે. પ્રદ્યુમનનગર પોલીસે ઝડપી કાર્યવાહી કરી નાઝીર ઉર્ફે ઘેટી, આસિફ, સુજલ બાવાજી અને એક સગીરને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો મુજબ રૂખડીયા ફાટક વિસ્તારમાં વાયરલેસ ઓફિસ પાસે રહેતો ઉમંગ જાખેલીયા સોમવારે બપોરે પોતાના ઘરે હતો. તે સમયે નાઝીર ઉર્ફે ઘેટી પોતાના સાથીદારો સાથે તેના ઘરે પહોંચ્યો હતો અને ઉમંગને ચા પીવા જવાનું કહી પોતાની સાથે લઈ ગયો હતો. પરિવારને પણ એવી જ જાણ કરવામાં આવી હતી કે તમામ મિત્રો સાથે ચા પીવા જઈ રહ્યા છે. શરૂઆતમાં પરિવારને કોઈ શંકા ન જતાં ઉમંગ તેમની સાથે નીકળી ગયો હતો.
મૃતકના પિતા રણજીતભાઈ જાખેલીયાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓ તે સમયે રેલવે હોસ્પિટલ ખાતે રંગકામની મજૂરી કરી રહ્યા હતા. બપોર દરમિયાન પત્નીનો ફોન આવ્યો હતો કે નાઝીર ઉમંગને પોતાની સાથે લઈ ગયો છે. ત્યારબાદ નાના પુત્ર વિકાસે પણ તપાસ કરતાં ઉમંગ અને તેના મિત્રો ભગવતીપરા મેઈન રોડ પર આવેલી ચાની હોટલ પાસે હોવાનું જણાવ્યું હતું. પરંતુ સાંજે અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. પરિવારના સંબંધી વિજયનો ફોન આવ્યો કે આસિફ અને એક અજાણ્યો શખ્સ ઉમંગને સફેદ એક્ટિવા પર બેભાન હાલતમાં લાવી તેમની દુકાન પાસે મૂકી ભાગી ગયા છે. પરિવારજનો તાત્કાલિક દોડી આવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સ મારફતે ઉમંગને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેના સમગ્ર શરીર પર ગંભીર મારઝૂડના નિશાન જોવા મળ્યા હતા. ડોક્ટરોએ સારવાર શરૂ કરી હતી, પરંતુ સાંજે ઉમંગે અંતિમ શ્વાસ લીધા હતા.
ફરિયાદમાં મૃતકના પિતાએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓએ કોઈ કારણસર તેમના પુત્રને નિર્દયતાથી માર મારી મરણતોલ હાલતમાં મૂકી દીધો હતો. ઘટનાના આધારે પ્રદ્યુમનનગર પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1), 61(2) અને 3(5) હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉથી મિત્રતા હતી. મુખ્ય આરોપી નાઝીરના ભાઈ અક્ષર સાથે પણ ઉમંગના ગાઢ સંબંધો હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી મળી છે કે આરોપીઓના પરિવારની એક યુવતી સાથે ઉમંગનું પ્રેમપ્રકરણ ચાલી રહ્યું હતું. આ સંબંધની જાણ થતાં બંને પક્ષ વચ્ચે અણબનાવ ઊભો થયો હતો અને એ જ રોષમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની દિશામાં પોલીસ તપાસ આગળ વધી રહી છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. નાઝીર ઉર્ફે ઘેટી, આસિફ, સુજલ બાવાજી તેમજ એક સગીરની અટકાયત કરીને તેમની સઘન પૂછપરછ શરૂ કરવામાં આવી છે. હુમલામાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલ છે કે કેમ, હુમલો ક્યાં કરવામાં આવ્યો હતો અને કયા હથિયાર કે વસ્તુ વડે માર મારવામાં આવ્યો હતો તે સહિતના તમામ મુદ્દાઓની તપાસ ચાલી રહી છે. યુવકને ઘરેથી વિશ્વાસમાં લઈને બહાર બોલાવી પછી નિર્દયતાથી માર મારી મોતને ઘાટ ઉતારવાની આ ઘટનાએ રૂખડીયા ફાટક સહિત સમગ્ર શહેરમાં ભારે અરેરાટી ફેલાવી છે. પ્રેમપ્રકરણમાંથી જન્મેલી દુશ્મનાવટે આખરે એક યુવાનનો જીવ લઈ લીધો હોવાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં જોરશોરથી ચાલી રહી છે, જ્યારે પોલીસ સમગ્ર ઘટનાના તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસને અંતિમ તબક્કા સુધી પહોંચાડવાના પ્રયાસોમાં લાગી છે.


