‘એનિમીયા મુક્ત ભારત’ તરફ કણસાગરા મહિલા કોલેજનું કદમ
વિદ્યાર્થીનીઓનું ફ્રી હિમોગ્લોબીન ચેક-અપ અને દવા વિતરણ
અગ્ર ગુજરાત, રાજકોટ
કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટના નેશનલ સર્વિસ સ્કીમ (NSS) વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓના સ્વાસ્થ્ય જાગૃતિ અને કલ્યાણ અર્થે એક ભવ્ય અને માનવતાવાદી આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના ‘એનિમીયા મુક્ત ભારત’ અભિયાનમાં સક્રિય સહભાગી થઈને કોલેજ દ્વારા વિશાળ પાયે ‘ફ્રી હિમોગ્લોબીન ચેક-અપ અને નિઃશુલ્ક દવા વિતરણ કેમ્પ’યોજાયો હતો.
આ વિશેષ આયોજન નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ, શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર (ધરમપુર) તથા MSI ચેરીટેબલ ટ્રસ્ટના વિશિષ્ટ સહયોગથી શક્ય બન્યું હતું. આ તબીબી ઝુંબેશ અંતર્ગત નિષ્ણાત ટીમ તરફથી સોલંકી નયનાબેન અને ગોસાઈ ખ્યાતિબેન દ્વારા સતત ૨ દિવસ સુધી કોલેજના કુલ ૧૨૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓનું અત્યંત તકેદારી પૂર્વક એનિમીયા (હિમોગ્લોબીન) પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માત્ર પરીક્ષણ જ નહીં, પરંતુ જે વિદ્યાર્થીનીઓમાં લોહીની ટકાવારી (હિમોગ્લોબીન) ઓછી જોવા મળી તેમને આરોગ્ય સુધારણા અર્થે સ્થળ પર જ નિઃશુલ્ક જરૂરી દવાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીનીઓમાં આરોગ્ય પ્રત્યે જાગરૂકતા કેળવાય અને વધુને વધુ વિદ્યાર્થીની બહેનો આ સેવા કાર્યનો લાભ લે તે માટે કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સ્નેહલ કોટક તથા સેલ્ફ ફાઈનાન્સ વિભાગના પ્રિન્સિપાલ મનોજ વ્યાસ દ્વારા પૂરેપૂરું પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.આ સમગ્ર અભિયાનનું સફળ સંચાલન અને આયોજન NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડાના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. કોલેજના તમામ અધ્યાપકગણ તથા સ્ટાફ મિત્રોએ પણ આ કાર્યક્રમમાં સક્રિય સાથ-સહકાર આપીને યુવતીઓના સ્વાસ્થ્ય કલ્યાણના આ રથને આગળ ધપાવ્યો હતો.


