હાઈકોર્ટ બેન્ચની માંગ સાથે સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની એક દિવસીય પ્રતિક હડતાળ
૪૩ વર્ષથી ચાલી રહેલી લડત તેજ બની, વકીલો કામગીરીથી અલિપ્ત રહ્યા ; કલેક્ટરને આવેદન પાઠવાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છના ન્યાયપ્રેમી નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય ઘરઆંગણે મળી રહે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ સ્થાપવાની વર્ષોથી ચાલી રહેલી માંગને લઈ ફરી એક વખત વકીલ આંદોલનના માર્ગે ઉતર્યા છે. રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તે મુદ્દે સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ બાર એસોસિએશનો દ્વારા બુધવારે એક દિવસની પ્રતિક હડતાળ પાળવામાં આવી હતી. અરજન્ટ કાર્યવાહી સિવાય વકીલો કોર્ટની કામગીરીથી દૂર રહ્યા હતા, જેના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અદાલતોમાં કામગીરી પર સીધી અસર પડી હતી.
ગત શનિવારે રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની બેઠકમાં આંદોલન અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના ભાગરૂપે આજે સવારે ૧૧ કલાકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લા અને તાલુકા મથકોએ વકીલ સંગઠનો દ્વારા કલેકટર, ડે. કલેકટર અને મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા.
રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરા, ઉપપ્રમુખ સિદ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેશ પટેલ, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય દિલીપભાઈ પટેલ, અમૃતાબેન ભારદ્વાજ સહિતના હોદ્દેદારો, કારોબારી સભ્યો તેમજ મોટી સંખ્યામાં સિનિયર અને જુનિયર વકીલો રાજકોટ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં કલેકટરને આવેદનપત્ર પાઠવી રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ સ્થાપવાની માંગને વધુ મજબૂત રીતે રજૂ કરવામાં આવી હતી.
વકીલ સંગઠનોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચની માંગ વર્ષ ૧૯૮૩થી ચાલી રહી છે. છેલ્લા ૪૩ વર્ષથી આ મુદ્દે અનેક વખત રજૂઆતો, આંદોલનો અને સરકાર સમક્ષ માંગણીઓ કરવામાં આવી હોવા છતાં આજદિન સુધી કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નથી. વકીલોએ આક્ષેપ કર્યો હતો કે રાજ્યમાં વિવિધ સરકારો દ્વારા રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવાની ખાતરીઓ આપવામાં આવી છે. કેશુભાઈ પટેલની સરકારના સમયથી આ મુદ્દે આશ્વાસનો મળતા આવ્યા છે. વર્ષ ૨૦૨૨ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પણ રાજકોટને હાઈકોર્ટ બેન્ચ આપવાનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી.
વકીલ સંગઠનોનું કહેવું છે કે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર ભૌગોલિક રીતે વિશાળ છે અને અહીંથી અમદાવાદ સ્થિત ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચવામાં લોકોને સમય તેમજ નાણાંનો મોટો ખર્ચ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છમાંથી મોટી સંખ્યામાં અરજદારો અને પક્ષકારોને હાઈકોર્ટની કામગીરી માટે અમદાવાદ જવું પડે છે. વકીલોના જણાવ્યા મુજબ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા અગાઉ રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચની જરૂરિયાત અંગે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જેમાં આ વિસ્તારની વસતી, ભૌગોલિક સ્થિતિ અને ન્યાયિક જરૂરિયાતો અંગે વિગતવાર રજૂઆત કરવામાં આવી હતી. વકીલ સંગઠનોના દાવા પ્રમાણે ગુજરાત હાઈકોર્ટમાં હાલના કુલ કેસોમાંથી આશરે ૪૦ ટકા કેસો સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તાર સાથે સંકળાયેલા છે. આવી સ્થિતિમાં રાજકોટ ખાતે હાઈકોર્ટ બેન્ચ કાર્યરત થાય તો લાખો લોકોને ઝડપી અને ઓછા ખર્ચે ન્યાય મળી શકે તેમ છે.
વકીલોએ અન્ય રાજ્યોનું ઉદાહરણ આપતા જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ચાર, પશ્ચિમ બંગાળમાં ત્રણ, આસામ જેવા નાના રાજ્યમાં ચાર, કર્ણાટકમાં બે, મધ્યપ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં બે હાઈકોર્ટ બેન્ચ કાર્યરત છે. જ્યારે ગુજરાત જેવા મોટા અને ઔદ્યોગિક રાજ્યમાં માત્ર અમદાવાદ ખાતે જ હાઈકોર્ટ છે.
વકીલોનો સવાલ છે કે જ્યારે અન્ય રાજ્યોમાં પ્રાદેશિક સુવિધા માટે હાઈકોર્ટ બેન્ચની વ્યવસ્થા કરવામાં આવી છે, ત્યારે સૌરાષ્ટ્ર-કચ્છ જેવા વિશાળ વિસ્તારમાં રાજકોટને હાઈકોર્ટ બેન્ચ કેમ આપવામાં આવતી નથી? આજે રાજકોટ ઉપરાંત જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને મોરબી સહિતના જિલ્લાઓના વકીલો હડતાળમાં જોડાયા હતા. અરજન્ટ કેસોને બાદ કરતાં વકીલોએ અન્ય તમામ કોર્ટ કાર્યવાહીઓથી અલિપ્ત રહી વિરોધ નોંધાવ્યો હતો. વકીલ સંગઠનોનું કહેવું છે કે આ માત્ર વકીલોનો પ્રશ્ન નથી, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છના સામાન્ય નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટેની લડત છે. જ્યાં સુધી રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળતી નથી ત્યાં સુધી આ મુદ્દે સંઘર્ષ ચાલુ રાખવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.


