60 ટકા સુધીના વ્યાજ અને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવકનો આપઘાત
ઉપલેટા પોલીસે પાંચ શખ્સો સામે મનીલેન્ડિંગ એક્ટ અને આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો ; 12 વર્ષની પુત્રીએ ગુમાવી પિતાની છત્રછાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટા પંથકમાં ગેરકાયદે વ્યાજખોરીના ત્રાસથી વધુ એક યુવાનનું જીવન હોમાઈ જતાં ચકચાર મચી છે. વેપાર માટે લીધેલી નાની રકમ બાદ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાયેલા 30 વર્ષીય યુવકે સતત માનસિક ત્રાસ અને પઠાણી ઉઘરાણીથી કંટાળીને ઝેરી દવા પી આત્મઘાતી પગલું ભર્યું હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજતાં પોલીસે પાંચ વ્યાજખોરો સામે મનીલેન્ડિંગ એક્ટ તેમજ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ફરિયાદ મુજબ, મૃતક યુવકે ચાર વર્ષ પહેલાં તરબૂચના વેપાર માટે શરૂઆતમાં રૂ.30 હજાર વ્યાજે લીધા હતા. માસિક વ્યાજ ચૂકવ્યા બાદ જ્યારે તે આર્થિક રીતે નબળો પડ્યો ત્યારે અગાઉનું વ્યાજ ચૂકવવા બીજા વ્યાજખોર પાસેથી રકમ લેવાની ફરજ પડી હતી. આ રીતે એક પછી એક વ્યક્તિ પાસેથી ઉધાર લેવામાં આવતા તે વ્યાજના જાળમાં વધુને વધુ ફસાતો ગયો. તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર કેટલાક આરોપીઓએ દૈનિક ધોરણે વ્યાજ વસૂલવાની શરત રાખી હતી, જેનો દર માસિક ગણતરીએ આશરે 60 ટકા સુધી પહોંચતો હતો. સતત વધતા વ્યાજ અને મુદ્દલની ચુકવણીના દબાણ વચ્ચે મૃતક આર્થિક રીતે સંપૂર્ણપણે ભાંગી પડ્યો હતો.
ફરિયાદમાં જણાવાયું છે કે માત્ર નાણાંની માંગણી જ નહીં, પરંતુ આરોપીઓ દ્વારા વારંવાર પઠાણી ઉઘરાણી, ધમકીઓ અને માનસિક દબાણ કરવામાં આવતું હતું. ત્રાસ એટલો વધી ગયો હતો કે મૃતકને પરિવાર સાથે ઉપલેટા છોડીને પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે રહેવા જવાની ફરજ પડી હતી. તેમ છતાં વ્યાજખોરોએ અલગ-અલગ લોકો મારફતે ઉઘરાણી ચાલુ રાખી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે એક આરોપીએ ઉપલેટામાં આવેલ મૃતકના મકાન પર કબજો કરી લીધો હતો, જ્યારે અન્ય આરોપી દ્વારા ફોન પર વારંવાર વ્યાજ અને મુદ્દલની માંગણી સાથે જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવતી હતી. આ સતત ચાલતા માનસિક ત્રાસથી કંટાળીને યુવકે 22 જુલાઈના રોજ સરદારગઢ ગામ નજીક સ્મશાન વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી.
ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન બીજા દિવસે તેનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તબક્કે નોંધાયેલા ગુનામાં હવે આત્મહત્યા માટે દુષ્પ્રેરણની કલમો પણ ઉમેરવામાં આવી છે.
આ કેસમાં સાગર બાવનજી સુવા, મનસુખ લખમણ મકવાણા, નાથા પ્રમુખ આહીર, ઇકબાલ મુસ્લિમ અને સંજય સિંગડિયા સામે ગુનો નોંધાયો છે. પોલીસ સમગ્ર નાણાકીય વ્યવહારો, વ્યાજની પદ્ધતિ અને ઉઘરાણીના આરોપોની તપાસ કરી રહી છે. આ કરુણ ઘટનાએ એક પરિવારનો આધાર છીનવી લીધો છે. મૃતકની 12 વર્ષની પુત્રી પિતાની છત્રછાયા ગુમાવતાં સમગ્ર વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. પોલીસ દ્વારા કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.


