રાજકોટ-જામનગર હાઇવે પર કારની ટક્કરમાં લૈયારાના બે મિત્રોના મોત
મિત્રની ખબર પૂછવા નીકળેલા બે વડીલોને સણોસરા પાટીયે વળાંક લેતી વખતે નડ્યો ગંભીર અકસ્માત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-જામનગર હાઇવે પર મંગળવારે બનેલા એક કરુણ માર્ગ અકસ્માતે જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. પોતાના બીમાર મિત્રની ખબર-અંતર પૂછવા માટે ઘરેથી નીકળેલા બે વડીલ મિત્રો સણોસરા ગામના પાટીયા પાસે અકસ્માતનો ભોગ બન્યા હતા. કાર અને બાઇક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બંનેને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તમામ પ્રયાસો છતાં બંનેએ સારવાર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આ બનાવ બાદ બંને પરિવારો તેમજ સમગ્ર લૈયારા અને મહાદેવનગર વિસ્તારમાં ગમગીન માહોલ છવાઈ ગયો છે.
મૃતકોમાં લૈયારા ગામના 64 વર્ષીય નટુભા સીદુભા જાડેજા અને મહાદેવનગર વિસ્તારમાં રહેતા 67 વર્ષીય તળશીભાઈ કુરજીભાઈ શીંગાળાનો સમાવેશ થાય છે. બંને વચ્ચે વર્ષોથી મિત્રતા હતી અને ગામમાં પણ તેઓ સૌના પરિચિત હતા. ઘટનાના દિવસે તેઓ સણોસરા ગામમાં રહેતા પોતાના એક મિત્ર બાબભા જાડેજાની તબિયત સારી ન હોવાથી તેમની મુલાકાત લેવા અને ખબર પૂછવા માટે મોટરસાયકલ પર નીકળ્યા હતા.પરિવારજનોના જણાવ્યા મુજબ સવારે નટુભા જાડેજાએ પોતાના પુત્રને મિત્રને મળવા જવાની વાત કરી હતી. ત્યારબાદ તેઓ પોતાના મોટરસાયકલ પર તળશીભાઈને પાછળ બેસાડીને સણોસરા તરફ રવાના થયા હતા. થોડા સમય બાદ પરિવારને ફોન દ્વારા જાણ કરવામાં આવી કે સણોસરા ગામના પાટીયા નજીક રાજકોટ-જામનગર હાઇવે પર તેમનો ગંભીર અકસ્માત થયો છે.
પરિવારજનો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત હાલતમાં રોડની બાજુમાં પડેલા હતા. નટુભાના માથા, બંને પગ અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી, જ્યારે તળશીભાઈના માથા, કપાળ અને જમણા પગમાં ગંભીર ઘા લાગ્યા હતા. ઘટનાસ્થળે તેમનું મોટરસાયકલ તેમજ અકસ્માતગ્રસ્ત અર્ટિગા કાર પણ નુકસાનગ્રસ્ત હાલતમાં જોવા મળી હતી.
પ્રાથમિક માહિતી મુજબ નટુભા જાડેજા મોટરસાયકલ ચલાવી રહ્યા હતા. સણોસરા ગામ તરફ વળાંક લેતા સમયે જામનગર તરફથી પૂરઝડપે આવી રહેલી અર્ટિગા કાર બાઇક સાથે અથડાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને રસ્તા પર ફંગોળાઈ ગયા હતા. આસપાસના લોકો દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતાં બંનેને તાત્કાલિક રાજકોટની સિનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ બપોર દરમિયાન તળશીભાઈ શીંગાળાએ સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. ત્યારબાદ નટુભા જાડેજાની સ્થિતિ પણ વધુ ગંભીર બનતાં તેઓ પણ સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા. એક જ અકસ્માતમાં બે મિત્રોના મોત થતાં બંને પરિવારો પર આભ ફાટી પડ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. આ બનાવ અંગે ધ્રોલ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસે અર્ટિગા કારના ચાલક સામે બેદરકારીપૂર્વક વાહન હંકારી અકસ્માત સર્જ્યાનો ગુનો નોંધ્યો છે અને અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે વધુ તપાસ શરૂ કરી છે.
મિત્રની તબિયત પૂછવા નીકળેલી સફર જીવનની છેલ્લી સફર સાબિત થતાં લૈયારા અને મહાદેવનગર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. બંને વડીલોના અવસાનના સમાચાર મળતા સગા-સંબંધીઓ અને ગામલોકો મોટી સંખ્યામાં તેમના ઘરે પહોંચ્યા હતા. ગામમાં લાંબા સમયથી સામાજિક જીવન સાથે જોડાયેલા બંને મિત્રોના એકસાથે થયેલા નિધનથી સમગ્ર પંથકમાં ભારે દુઃખની લાગણી વ્યાપી ગઈ છે.


