મુસાફર વગર દુબઈ-મુંબઈની ફ્લાઈટ રાજકોટથી રવાના
ઈમરજન્સી લેન્ડીંગ બાદ બે દિવસ હિરાસર એરપોર્ટ રહ્યા બાદ મુસાફર વગર મુંબઈ પહોંચી હતી
અગ્ર ગુજરાત, રાજકોટ
દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગો ફ્લાઈટ (IGO1452)ના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં અચાનક ધુમાડો દેખાતા ફ્લાઈટનું રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. મેડે… મેડે… મેડે (ઇમરજન્સી)નો મેસેજ આપવામાં આવતા તાત્કાલિક રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના ATC દ્વારા ઇમરજન્સી લેન્ડિંગની મંજૂરી આપવામાં આવી હતી. જે બાદ 194 મુસાફરોને સુરક્ષિત રાજકોટ એરપોર્ટ ઉપર ઉતારવામાં આવ્યા હતા. જે બાદ બે દિવસ સુધી આ ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર રહી. જોકે, આ ફ્લાઈટ મુસાફર વિના મુંબઈ જવા રવાના થઈ હતી અને ત્યાં સુરક્ષિત પહોંચી ગઈ હતી. આ ફ્લાઇટમાં મુસાફરો બેસાડવામાં ન આવતા ગંભીર ટેકનિકલ ખામી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, સ્મોક કયા કારણોથી થયો તે અંગે પૂછવા માટે ઈન્ડિગો એરલાઈન્સના જવાબદાર અધિકારીનો સંપર્ક કરવામાં આવતા તેમણે કઈ પણ બોલવાનું ટાળ્યું હતું.
એરપોર્ટ ઓથોરિટીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઈથી મુંબઈ આવતી ઈન્ડિગોની ફ્લાઇટ દુબઇથી સહી સલામત ઉપડી હતી પરંતુ, રસ્તામાં ફલાઈટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક શરૂ થતા આ ફ્લાઇટને રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જેને લીધે ફલાઇટમાં બેસેલા ક્રૂ મેમ્બર સહિત 194 મુસાફરો ડરી ગયા હતા પરંતુ પાયલોટ દ્વારા ફલાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ સફળતાપૂર્વક કરવામાં આવતા મુસાફરોનો જીવ બચી ગયો હતો.
રાજકોટમાં આવેલ IGO1452 ફ્લાઇટના મુસાફરો માટે ‘ફેરી એરક્રાફ્ટ’ની વ્યવસ્થા કરવામાં આવી હતી. મુસાફરોને પીવાનું પાણી, ભોજન સાથે તમામ જરૂરી સહાય પણ આપવામાં આવી હતી. જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા બાદ, આ ફેરી ફ્લાઇટ ‘6E 1452D’ તરીકે રાત્રે 21.02 વાગ્યે મુંબઈ જવા રવાના થઈ હતી.
દુબઈથી મુંબઈ જતી IGO1452 (A321 પ્રકારની) ફ્લાઇટને કાર્ગો હોલ્ડ વિસ્તારમાં ધુમાડો જણાવાને કારણે રાજકોટ તરફ વાળવામાં આવી હતી. વિમાનમાં કુલ 194 વ્યક્તિઓ સવાર હતી. વિમાન 15.27 વાગ્યે સુરક્ષિત રીતે ઉતર્યું હતું. તમામ મુસાફરો વિમાનમાંથી નીચે ઉતરી ગયા હતા. 27 જુલાઈના ફલાઈટમાં સ્મોકના કારણે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી દુબઈથી મુંબઈ જતી લેન્ડિંગ કરાયેલી ફ્લાઈટ આજે 29 જુલાઈના સવાર સુધી રાજકોટ એરપોર્ટ પર હતી. જે બાદ આજે સવારે 8.30 વાગ્યે આ ફ્લાઇટ મુસાફરો વિના મુંબઈ પહોંચી હતી. જેથી ફ્લાઈટમાં હજુ ટેકનિકલ ખામી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.


