શહેરમાં વધુ એક વિસ્તારના લોકોનો બાટલો ફાટ્યો
કોઠારીયામાં રોડ-રસ્તા મુદ્દે ચક્કાજામ, મહિલાઓએ થાળી-વાટકા વગાડ્યા
૧૫ વર્ષથી વેરો ભરવા છતાં પ્રાથમિક સુવિધા નહીં મળતા 3000 લોકોને પારાવાર મુશ્કેલી: ચૂંટણી સમયે વાયદા આપ્યા બાદ નગરસેવકો ગાયબ થતાં હોવાનો આક્ષેપ
મેટલ અને કપચી નાંખ્યા બાદ ડામર રોડ નહીં બનતા ધૂળની ડમરીથી ૫૦૦ ઘર ધૂળધાણી થતા હોવાની હૈયાવરાળ ઠાલવતા સ્થાનિકો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટનાં કોઠારિયામાં આવેલ ઋષિપ્રસાદ સોસાયટી ખાતે છેલ્લા 15 વર્ષથી રસ્તા, પાણી અને લાઈટ જેવી પ્રાથમિક સુવિધાઓની ભારે વિકટ સમસ્યા પ્રવર્તી રહી છે. સોસાયટીમાં 500 જેટલા મકાનોમાં 3000થી વધુ લોકો વસવાટ કરે છે, જેઓ દર વર્ષે નિયમિતપણે મકાનવેરો, નળવેરો અને રસ્તાનો વેરો ભરે છે. આમ છતાં, બે વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચે માત્ર મોટી મેટલ (કપચી) પાથરીને અધૂરું છોડી દેવાયેલું કામ આજે ધૂળમાં ભળી ગયું છે. તંત્ર અને સ્થાનિક નેતાઓને અનેક રજૂઆતો કરવા છતાં ડામર રોડ મંજૂર નહીં થતાં અને ચોમાસામાં પાણી ભરાવાના કારણે નાના બાળકો અને રહીશો માટે ઘર બહાર નીકળવું પણ જોખમી બન્યું છે. અધિકારીઓ દ્વારા માત્ર વાયદાઓ આપવામાં આવતા હોવાથી આખરે કંટાળેલી સ્થાનિક મહિલાઓએ રસ્તા ઉપર ઉતરીને થાળી-વાટકા વગાડી તંત્રની ઉદાસીનતા સામે આક્રોશપૂર્વક વિરોધ કર્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ રાજકોટનાં કોઠારિયા વિસ્તારમાં આવેલી ઋષિપ્રસાદ સોસાયટીમાં છેલ્લા બે વર્ષથી રસ્તાના પ્રશ્નને લઈને સ્થાનિક રહીશો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. બિસ્માર રસ્તાઓ અને તંત્રની ઉદાસીનતાથી કંટાળીને આખરે સોસાયટીની મહિલાઓ રસ્તા પર ઉતરી આવી હતી. સ્થાનિક મહિલાઓએ હાથમાં થાળી-વાટકા વગાડીને મહાનગરપાલિકાના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું અને વિરોધ નોંધાવ્યો હતો.
આ વિસ્તારમાં આવેલા 500થી વધુ મકાનો અને 3000થી વધુ રહીશો છેલ્લા 15 વર્ષથી પાયાની સુવિધાઓ માટે ઝંખી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે તેઓ નિયમિતપણે મકાનવેરો, નળવેરો અને રસ્તાનો વેરો તંત્રને ચૂકવે છે, છતાં તેમને યોગ્ય સુવિધા મળતી નથી. બે વર્ષ પહેલાં રસ્તા પર લાખો રૂપિયાના ખર્ચે મેટલિંગ એટલે કે મોટી કપચી પાથરવામાં આવી હતી. તંત્ર દ્વારા વચન આપવામાં આવ્યું હતું કે ટૂંક સમયમાં ડામર રોડ બનાવવામાં આવશે, પરંતુ બે વર્ષ વીતી ગયા છતાં અહીં ડામર પહોંચ્યો નથી. લાખો રૂપિયાના ખર્ચે પાથરેલું મેટલિંગ પણ સમય જતાં ધૂળમાં ભળી ગયું છે.
આ વિસ્તારમાં રહેતા દેવુબેનએ જણાવ્યું હતું કે, અમારે 15 વર્ષથી પૂલ નથી અને પૂરતી સગવડતા પણ નથી. રસ્તા નથી અને લાઈટ આવ-જા કરે છે, જેથી અમે બધા ખૂબ જ હેરાન છીએ. આ સોસાયટીમાં 500 મકાન આવેલા છે. પાણી આવે ત્યારે અડધા માણસો રસ્તામાં રહી જાય છે અને અડધા માણસો આ બાજુ રહી જાય છે. જઈ શકાતું નથી, બહુ જ તકલીફ છે. પાણીની, લાઈટની અને રોડ-રસ્તાની સગવડતા મળતી નથી.
સોસાયટીના અન્ય સ્થાનિક ભુમિબેન સેજપાલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, હાલત એટલી ખરાબ છે કે કાંઈ ચાલી શકાય તેમ નથી. રોડ-રસ્તા એટલા ખરાબ છે કે નાના-નાના છોકરાઓને અમારી શેરીમાં રમવા પણ નથી મોકલી શકાતા. અમને એટલી બીક લાગે છે કે છોકરાઓના હાથ-પગ કે માથું ન ભાંગી જાય. ભારે વરસાદ આવે ત્યારે શેરીમાં એટલું પાણી ભરાય છે કે જીવજંતુઓ કરડી જવાનો ડર રહે છે. અમે શેરીમાંથી બહાર પણ નીકળી શકતા નથી.
વધુમાં તેમણે જણાવ્યું કે, આ વિસ્તારમાં 3000થી વધુ લોકો રહે છે અને 500 મકાન છે. આ સોસાયટી 15 વર્ષ જૂની છે. કોર્પોરેટર અને અધિકારીઓ પાસે જઈએ ત્યારે એવું કહે છે કે અમને ડામર કે કાંકરી નથી મળતી. મોટી મોટી મેટલ પાથરીને વયા જાય છે પરંતુ બીજું કોઈ કામ કરતા નથી. અમે દર વર્ષે નળવેરો, રસ્તાનો વેરો અને મકાનવેરો ભરીએ છીએ, છતાં કોઈ કામ થાતું નથી. અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતાં આજે થાળી-વાટકા વગાડી વિરોધ કરવામાં આવ્યો છે.


