સુરતના વરાછામાં બનેલી હૃદયદ્રાવક ઘટનાથી ચકચાર
શેરબજારમાં ૪૦ લાખનું દેવુ થતા માતાની હત્યા કર્યા બાદ પુત્રનો ફાંસો ખાઇ આપઘાત
નિ:સંતાન દંપતિએ ભાઇના પુત્રને દત્તક લીધો હતો : સુસાઇડ નોટમાં લાખોના દેણાનો ઉલ્લેખ : સમગ્ર પંથકમાં અરેરાટી
અગ્ર ગુજરાત, સુરત
સુરતમાં વરાછાના અશ્વિનીકુમારમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. એ.કે. રોડ પર આવેલી રૂપમ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય પાટીદાર યુવકે શેરબજારમાં અંદાજે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ જતાં પોતાની 63 વર્ષીય માતાની ગળે ટૂંપો આપી દઈ નિષ્ઠુરતાપૂર્વક હત્યા કરી નાખી હતી. માતાનો જીવ લીધા બાદ યુવકે પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે જતીન સોનાણી મૂળ તેના નાના કાકા ત્રિભુવનભાઈનો પુત્ર હતો. જ્યારે તે માત્ર 6 મહિનાનો હતો ત્યારે નિઃસંતાન મોટા પપ્પા જગદીશભાઈ અને તેમના પત્ની ભાનુબેને તેને દત્તક લીધો હતો. વર્ષ 2014માં પતિના અવસાન બાદ પણ માતા-પુત્ર સાથે હસી-ખુશીથી રહેતા હતા. ગુરુવારે(30 જુલાઈ) રાત્રે પણ બંને પાડોશીઓ સાથે હસી-મજાક કરીને રૂમમાં ગયા હતા, પરંતુ કોને ખબર હતી કે જે પુત્રને બાળપણથી પ્રેમથી ઉછેર્યો હતો, એ જ પુત્ર દેવાના બોજ તળે કાળ બનીને માતાનો ભોગ લેશે.
આ ઘટનાની જાણ થતાં જ અશ્વિનીકુમાર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પ્રાથમિક તપાસ દરમિયાન પોલીસને ઘરના રૂમમાંથી એક પાનાની હાથે લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં આર્થિક સંકટ, દેવાની લેવડ-દેવડ અને પરિવારની માફીનો ઉલ્લેખ કરાયો છે. પોલીસે સુસાઇડ નોટ કબજે કરીને ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
મૃતકની ઓળખ અંગે મળતી માહિતી અનુસાર, આ પરિવાર મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના મહેસાણકા ગામનો વતની હતો. 36 વર્ષીય જતીન જગદીશ સોનાણી પોતાની 63 વર્ષીય માતા ભાનુબેન સાથે હાલ વરાછા એલ.એચ. રોડ સ્થિત રૂપમ સોસાયટી વિભાગ-1ના પહેલા માળે ભાડાના મકાનમાં રહેતો હતો. પિતાના અવસાન બાદ માતા-પુત્ર બંને સાથે રહીને પોતાનું ગુજરાન ચલાવતા હતા.
શેરબજારમાં નસીબ અજમાવવા ગયેલા જતીનને ધાર્યા મુજબ સફળતા ન મળી અને તેના દાવ ઊંધા પડ્યા હતા. ટૂંકા સમયમાં જ તેને શેરબજારમાં ભારે નાણાકીય નુકસાન વેઠવું પડ્યું હતું. જોતજોતામાં તેના માથે આશરે રૂ. 40થી 50 લાખનું જંગી દેવું થઈ ગયું હતું. બીજી તરફ તેની માતા ભાનુબેન ઘર બેઠા સિલાઈ કામ કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવાનો પ્રયાસ કરતા હતા.
ગુરુવારે રાત્રે જતીન અને તેની માતા ભાનુબેન રોજિંદા ક્રમ મુજબ જમીને પોતાના રૂમમાં સૂવા ગયા હતા. આર્થિક સંકટના કારણે માનસિક તણાવમાં જીવી રહેલા જતીને મધ્યરાત્રિએ દૂષિત માનસિકતા દર્શાવી હતી. પલંગ પર ઊંઘી રહેલી માતા ભાનુબેનને તેણે ગળાના ભાગે ટૂંપો આપી મોતને ઘાટ ઉતારી દીધા હતા. માતાની હત્યા કર્યા બાદ તેણે પોતે પણ પંખાના હૂક સાથે દોરી બાંધીને ફાંસો ખાઈ લીધો હતો.


