રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ માટે મુખ્યમંત્રી સમક્ષ ફરી ઉઠ્યો સશક્ત અવાજ
રાજકોટ બાર એસોસિએશને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આવેદનપત્ર સાથે વિગતવાર પ્રસ્તાવ સોંપ્યો; ન્યાયિક સુવિધા માટે લડત વધુ તેજ કરવાની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
સૌરાષ્ટ્ર-કચ્છમાં હાઇકોર્ટની બેન્ચ સ્થાપવાની લાંબા સમયથી ચાલી રહેલી માંગને વધુ વેગ આપવા રાજકોટ બાર એસોસિએશને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સમક્ષ ફરીથી સશક્ત રજૂઆત કરી છે. મુખ્યમંત્રીના રાજકોટ પ્રવાસ દરમિયાન એસોસિએશનના હોદ્દેદારોએ આવેદનપત્ર સાથે વિસ્તૃત પ્રપોઝલ સુપરત કરી રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચની તાત્કાલિક સ્થાપના માટે હકારાત્મક નિર્ણય લેવા અપીલ કરી હતી.
બાર એસોસિએશનના પ્રમુખ સુમિત વોરાના નેતૃત્વમાં સેક્રેટરી નિલેશ પટેલ, જોઈન્ટ સેક્રેટરી જયેન્દ્ર ગોંડલિયા અને લાઇબ્રેરી સેક્રેટરી કેતન મંડે સહિતના હોદ્દેદારોએ મુખ્યમંત્રીને જણાવ્યું હતું કે હાલ સૌરાષ્ટ્ર-કચ્છના હજારો કેસોના પક્ષકારો, વકીલો અને સામાન્ય નાગરિકોને ન્યાયિક કામગીરી માટે અમદાવાદ સુધી જવું પડે છે. લાંબા અંતર, સમય અને વધતા ખર્ચને કારણે સામાન્ય લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજકોટમાં હાઇકોર્ટ બેન્ચ શરૂ થાય તો સમગ્ર વિસ્તારને ઝડપી અને સુલભ ન્યાય મળી શકશે.
એસોસિએશને રજૂઆત દરમિયાન એ પણ સ્પષ્ટ કર્યું હતું કે હાઇકોર્ટ બેન્ચની માંગ હવે માત્ર વકીલો સુધી મર્યાદિત રહી નથી. સૌરાષ્ટ્ર-કચ્છના નાગરિકો, વિવિધ સામાજિક સંસ્થાઓ અને જનપ્રતિનિધિઓ પણ આ મુદ્દે ખુલ્લેઆમ સમર્થન આપી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનાઓથી આ માંગને લોકઆંદોલનનું સ્વરૂપ આપવા વ્યાપક જનજાગૃતિ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું છે. બાર એસોસિએશનના જણાવ્યા મુજબ અગાઉ પ્રદેશના સાંસદો, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓના હોદ્દેદારો સહિત અનેક આગેવાનોને આ મુદ્દે રજૂઆતો કરવામાં આવી છે. હવે રાજ્ય સરકાર સમક્ષ ફરીથી પ્રબળ રીતે રજૂઆત કરીને નિર્ણય પ્રક્રિયાને ઝડપી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. એસોસિએશને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચની સ્થાપના ન થાય ત્યાં સુધી તેમની લડત અટકવાની નથી. આગામી સમયમાં ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ, રાજ્યપાલ તેમજ વડાપ્રધાન સમક્ષ પણ વિસ્તૃત રજૂઆતો કરવામાં આવશે. બંધારણીય અને લોકશાહી માર્ગે આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
આ રજૂઆત દરમિયાન ઉપપ્રમુખ એસ. કે. જાડેજા, પ્રગતિ માકડિયા, હિરલ જોશી, નિશા લુણાગરિયા, સંજય ડાંગર, સ્તવન મહેતા, ભાર્ગવ પંડ્યા, વિજય રૈયાણી, રક્ષા ઉપાધ્યાય, દીપ વ્યાસ સહિત રાજકોટ બાર એસોસિએશનના અનેક સભ્યો ઉપસ્થિત રહી અભિયાનને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો.


