વીર જવાનો માટે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓએ મોકલી 1,111 રાખડીઓ
દિકરીઓએ જાતે જ તૈયાર કર્યા પ્રેમના પવિત્ર તાંતણા
અગ્ર ગુજરાત, રાજકોટ
આગામી પવિત્ર રક્ષાબંધનના તહેવાર નિમિત્તે દેશની રક્ષા કરતા વીર જવાનો પ્રત્યે કૃતજ્ઞતા અને પ્રેમ વ્યક્ત કરવા માટે લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓએ એક સરાહનીય પહેલ કરી છે. ઘર-પરિવારથી દૂર સીમા પર તૈનાત દેશના રક્ષકો માટે શાળાની વિદ્યાર્થીનીઓએ પોતાના હાથે તૈયાર કરેલી 1,111 વિશેષ રાખડીઓ પ્રેમપૂર્વક મોકલી આપી છે.
લાલ બહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલયની દીકરીઓ દ્વારા દેશના વીર જવાનો પ્રત્યે આદર પ્રગટ કરવાનો આ પ્રયાસ નવો નથી. વર્ષ 2019થી શાળાની આશરે 530 જેટલી દીકરીઓ દર વર્ષે રક્ષાબંધન પર દેશના સરહદ પર તૈનાત જવાનો માટે પોતાના હાથે જ આકર્ષક અને સુંદર રાખડીઓ તૈયાર કરે છે. પોતાના હસ્તકળા અને પ્રેમથી બનેલી આ રાખડીઓ દ્વારા દીકરીઓ જવાનો પ્રત્યેની પોતાની લાગણીઓ વહાવે છે.
રક્ષાબંધન માત્ર સુતરનો તાંતણો નથી પણ પ્રેમ અને સુરક્ષાનું વચન છે. શાળાની દીકરીઓએ સરહદ પર દેશનું રક્ષણ કરતા જવાનો માટે માત્ર રાખડીઓ જ નથી મોકલી, પરંતુ તેમની સાથે વિશેષ શુભેચ્છા પત્રો પણ તૈયાર કરીને મોકલ્યા છે. આ પત્રોમાં દીકરીઓએ જવાનોના દીર્ઘાયુ, ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ જીવન માટે ભગવાન પાસે પ્રાર્થના કરી છે. પોતાની લાગણીઓ અને દેશભક્તિના શબ્દોથી ભરેલા આ પત્રો જવાનોના ઉત્સાહમાં ચોક્કસ વધારો કરશે.
દૂર-સુદૂર સરહદો પર દેશની સુરક્ષા માટે ખડેપગે રહેતા જવાનો સુધી જ્યારે આ રાખડીઓ અને પ્રેમસંદેશા પહોંચશે, ત્યારે તેમને પણ પોતાના પરિવારની કમી ઓછી વર્તાશે. શાળાની દીકરીઓની આ સુંદર અને દેશભક્તિપૂર્ણ પહેલ આજે સમાજ માટે એક પ્રેરણાદાયી ઉદાહરણ બની છે.


