ચેતજો, મોબાઈલ જ્ઞાનવર્ધક અને ઉપયોગી સાધન બનવાને બદલે વ્યસની ન બનાવી દે
વાલીમંડળના પ્રમુખની લોકોને અપીલ
અગ્ર ગુજરાત, રાજકોટ
આજના ડિજિટલ યુગમાં મોબાઇલ ફોન શિક્ષણ, માહિતી મેળવવા અને સંપર્ક જાળવવા માટે એક અત્યંત ઉપયોગી સાધન બની ગયો છે. પરંતુ, દરેક ટેકનોલોજીની જેમ તેનો અતિરેક પણ નુકસાનકારક નીવડી શકે છે. હાલના સમયમાં મોબાઇલના અમર્યાદિત અને અવિચારી ઉપયોગને કારણે તેના લાભ કરતાં દુષણ વધી જવાનો ગંભીર ભય ઊભો થયો છે. ખાસ કરીને યુવાનો અને વિદ્યાર્થીઓ અભ્યાસ કે જ્ઞાનવર્ધન માટે હાથમાં લીધેલા સ્માર્ટફોનમાં સોશિયલ મીડિયા, ઓનલાઇન ગેમિંગ કે રીલ્સ જોવાની ધૂનમાં કિંમતી સમય વેડફી રહ્યા હોય એવું વાલીઓ અને માબાપ જણાવી રહ્યા છે. મોબાઇલના વિવેક વગરના ઉપયોગ કરવાના પરિણામે, એકાગ્રતાનો અભાવ, આંખો અને માનસિક સ્વાસ્થ્ય પર વિપરીત અસર તેમજ વાસ્તવિક સામાજિક સંબંધોથી દૂરી જેવી સમસ્યાઓ ચિંતાજનક રીતે વધી રહી છે.
આ બાબતે ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાધને સમયસર ચેતીને એ સમજવું ખૂબ જરૂરી છે કે મોબાઇલ માત્ર એક સાધન છે, તે જીવનનું ‘વ્યસન’ (Digital Addiction) ન બનવું જોઈએ. જો ટેકનોલોજી આપણાં પર હાવી થઈ જશે, તો તે ભવિષ્ય માટે મોટું દૂષણ સાબિત થશે. સ્ક્રીન ટાઇમ મર્યાદિત કરવો, રાત્રે સૂતા પહેલાં કે જમતી વખતે મોબાઇલથી દૂર રહેવું અને ઓનલાઇન ગેમ્સના બદલે મેદાની રમતો કે વાંચન જેવી રચનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળવું અત્યંત જરૂરી છે. જો મોબાઇલનો સ્માર્ટ અને વિવેકપૂર્ણ ઉપયોગ કરવામાં આવે તો જ તે વરદાન રૂપ રહેશે, નહીંતર તે યુવાધનના સ્વપ્નોને અને ભવિષ્યને બર્બાદ કરી દેશે. આવું ન બને એ માટે યુવાધન અને વિદ્યાર્થીઓને સજાગ અને જાગૃત રહેવા યુથ ફોર ડેમોક્રેસી અને રાજકોટ શહેર જિલ્લા વાલી મહામંડળના પ્રમુખ એડવોકેટ હિંમતભાઈ લાબડીયાએ હાર્દિક અપીલ કરી છે.


