9 વર્ષ જૂના NSUI નેતા જયરાજસિંહ જાડેજા હત્યા કેસમાં બે આરોપીઓને આજીવન કેદ
ભાઈને બચાવવા વચ્ચે પડેલા જયરાજસિંહ પર જીવલેણ છરીનો હુમલો કરાયો હતો; હત્યા અને હત્યાની કોશિશના ગુનામાં દોષિત ઠેરવી સેશન્સ કોર્ટે ફટકાર્યો કડક દંડ, 14 સાક્ષી અને 46 દસ્તાવેજી પુરાવા બન્યા નિર્ણાયક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં વર્ષ 2017 દરમિયાન ભારે ચર્ચામાં રહેલા કોંગ્રેસના વિદ્યાર્થી સંગઠન NSUIના શહેર મહામંત્રી જયરાજસિંહ ભુપતસિંહ જાડેજાની હત્યા કેસમાં લગભગ નવ વર્ષ બાદ સેશન્સ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. એડીશનલ સેશન્સ જજ આઈ.બી. પઠાણની અદાલતે આરોપી અજયસિંહ પ્રદ્યુમનસિંહ વાળા અને ધનરાજસિંહ ઉર્ફે ઠેડો બલવીરસિંહ જાડેજાને હત્યા તથા હત્યાની કોશિશના ગુનામાં દોષિત ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારી છે. સાથે જ વિવિધ કલમો હેઠળ દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
કેસની હકીકત મુજબ 29 ડિસેમ્બર, 2017ના રોજ બપોરના સમયે ઋતુરાજસિંહ જાડેજા પોતાના મિત્ર સમર્થસિંહ સાથે બુલેટ મોટરસાયકલ પર ભોમેશ્વર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન માતાનો ફોન આવતા તેઓ પુનીતનગર વિસ્તારમાં પહોંચ્યા હતા, જ્યાં તેમના ભાઈ જયરાજસિંહ અને આરોપી અજયસિંહ વચ્ચે ઉગ્ર બોલાચાલી ચાલી રહી હતી. ભાઈઓ વચ્ચેનો વિવાદ શાંત કરવાના પ્રયાસ દરમિયાન ઘટનાએ અચાનક હિંસક વળાંક લીધો હતો.
આરોપી અજયસિંહે પોતાની પાસે રહેલી છરી કાઢી પહેલા ઋતુરાજસિંહ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ભાઈને બચાવવા માટે જયરાજસિંહ વચ્ચે પડતા તેમના શરીરના ડાબા ભાગે જીવલેણ છરીનો ઘા ઝીંકાયો હતો. ત્યારબાદ ઋતુરાજસિંહ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલો અટકાવવાના પ્રયાસમાં તેમને હાથ અને પગ પર ઈજાઓ પહોંચી હતી. બીજી તરફ આરોપી ધનરાજસિંહ ઉર્ફે ઠેડાએ પણ હુમલામાં સક્રિય ભૂમિકા ભજવી સમર્થસિંહનો પીછો કર્યો હતો.
બનાવ બાદ આસપાસના લોકો દોડી આવતા બંને આરોપીઓ મોટરસાયકલ પર ફરાર થઈ ગયા હતા. ગંભીર હાલતમાં ઘવાયેલા જયરાજસિંહને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઋતુરાજસિંહની સારવાર બાદ તેમના નિવેદનના આધારે પોલીસમાં હત્યા અને હત્યાની કોશિશનો ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયાન પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી અને નવા વર્ષની શરૂઆતમાં જ ભાવનગર રોડ પરથી ખાનગી બસમાંથી બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસમાં બનાવ સમયે પહેરેલા કપડાં તથા હુમલામાં વપરાયેલી છરી પણ કબજે કરવામાં આવી હતી. કેસની કાર્યવાહી દરમિયાન મુખ્ય આરોપી અજયસિંહ પેરોલ પર મુક્ત થયા બાદ 723 દિવસ સુધી ફરાર રહેતા કેસ વધુ ચર્ચામાં આવ્યો હતો. બાદમાં પોલીસે ફરી તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો.
કેસની ગંભીરતા ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર તરીકે ધારાશાસ્ત્રી રક્ષિતભાઈ કલોલાની નિમણૂક કરી હતી. ટ્રાયલ દરમિયાન ફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા, ઘટનાના પ્રત્યક્ષદર્શી સમર્થસિંહ જાડેજા, પોસ્ટમોર્ટમ કરનાર તબીબ, ઓળખ પરેડ કરનાર અધિકારી સહિત કુલ 14 સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. ઉપરાંત 46 દસ્તાવેજી પુરાવા અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા. સરકારપક્ષ અને ફરિયાદી પક્ષે ઉચ્ચ અદાલતોના વિવિધ ચુકાદાઓનો પણ આધાર લઈ પોતાની દલીલો રજૂ કરી હતી.
અદાલતે તમામ મૌખિક અને દસ્તાવેજી પુરાવાનું વિશ્લેષણ કર્યા બાદ બંને આરોપીઓને ભારતીય દંડ સંહિતાની કલમ 302 હેઠળ હત્યાના ગુનામાં આજીવન સખત કેદ અને રૂ.25 હજાર દંડ, કલમ 307 હેઠળ હત્યાની કોશિશ બદલ 10 વર્ષની સખત કેદ તથા રૂ.10 હજાર દંડ અને જી.પી. એક્ટની કલમ 135(1) હેઠળ ચાર મહિનાની સજા તથા રૂ.1 હજારનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં સરકાર તરફે સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર રક્ષિતભાઈ કલોલાએ અસરકારક દલીલો રજૂ કરી હતી, જ્યારે મૂળ ફરિયાદી ઋતુરાજસિંહ જાડેજા તરફથી ધારાશાસ્ત્રીઓની ટીમે પણ પુરાવા અને કાનૂની મુદ્દાઓને મજબૂતીથી અદાલત સમક્ષ રજૂ કર્યા હતા. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ આવેલા આ ચુકાદાને પીડિત પરિવાર માટે મહત્વપૂર્ણ ન્યાય તરીકે જોવામાં આવી રહ્યો છે.


