રાજયમાં માત્ર અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં જ સીજીએચએસ સેન્ટર છે
સૌરાષ્ટ્ર-કચ્છના પાટનગર રાજકોટમાં સેન્ટર શરૂ કરવા લાંબા સમયથી માંગણી કરવામાં આવી છે
સૌરાષ્ટ્ર-કચ્છમાં રહેતા 15,000 લાભાર્થીઓ, જેમાંથી ઘણાની ઉંમર 80 વર્ષથી વધુ છે, તેમને કેન્દ્ર સરકારની આરોગ્ય યોજના (CGHS) હેઠળ સુવિધાઓ મેળવવા માટે અમદાવાદમાં સેંકડો કિલોમીટરનો પ્રવાસ કરવો પડે છે. તેઓને ચેકઅપ અને મંજૂર કેશલેસ સારવાર માટે અમદાવાદ સુધી ધક્કો ખાવો પડે છે. કારણ કે ગુજરાતમાં અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં જ સીજીએચએસ સેન્ટર છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં ૧૨ જિલ્લાઓ આવેલા છે. ત્યાં એક પણ સીજીએચએસ કેન્દ્ર નથી. રસપ્રદ વાત એ છે કે સૌરાષ્ટ્રના બે સાંસદો વલ્લભભાઇ કથિરીયા (સેવા આપી ચૂકયા છે) અને બીજા મનસુખભાઇ માંડવીયા કેન્દ્રીય આરોગ્ય મંત્રી તરીકે સેવા આપી રહ્યા છે. બંનેમાંથી કોઈએ સૌરાષ્ટ્ર-કચ્છમાં એક પણ સીજીએચએસ કેન્દ્ર સ્થાપવાની વિનંતી સ્વીકારી નથી.
કેન્દ્ર સરકારના નિવૃત્ત એક કર્મચારીએ જણાવ્યું હતું કે તેમણે આવા કેન્દ્રના અભાવે પેન્શનરો, જેમાંથી ઘણા સુપર સિનિયર છે. તેઓને છેક ઓખા, જામનગર, વેરાવળથી અમદાવાદ સુધી ચેક-અપ માટે જવું પડે છે. ગુજરાતમાં તમામ સીજીએચએસ કેન્દ્રો અમદાવાદ (12), વડોદરા (1) અને ગાંધીનગરમાં છે.સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં પણ સીજીએચએસ સેન્ટર નથી એ જ રીતે દક્ષિણ ગુજરાતમાં પણ સીજીએચએસ સેન્ટરનો અભાવ છે.
આ માટે સૌરાષ્ટ્ર-કચ્છમાં કેન્દ્ર શરૂ કરવા લાંબા સમયથી માંગણી કરવામાં આવી છે.