- વર્લ્ડકપ 2023 રોમાંચક મોળમાં પહોંચી
- સેમીફાઈનલની ચોથી ટીમ નેટરેટના આધારે નક્કી થશે
- નેટ રનરેટ ટીમમાટે કેટલો મહત્વનો હોય છે?
આ વર્લ્ડકપમાં તમામ ટીમ માટે પોઈન્ટ સાથે નેટ રનરેટ પણ ખુબ મહત્વની ભૂમિકા નિભાવે છે. ખાસ કરીને ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન માટે નેટ રનરેટ ખુબ મહત્વની બને છે. વર્લ્ડકપની સેમીફાઈનલમાં ભારત, સાઉથ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયાએ પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે, પરંતુ ચોથા સ્થાન માટે હજુ પણ રેસ ચાલી રહી છે અને આ રેસ ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે છે.
નેટ રનરેટ કેટલો મહત્વપૂર્ણ છે?
ન્યૂઝીલેન્ડની ટીમના કુલ 10 પોઈન્ટ છે અને અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની ટીમ પણ 10-10 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં જે ટીમનો નેટ રનરેટ શ્રેષ્ઠ હશે તેને જ સેમીફાઈનલમાં પહોંચવાની તક મળશે. આ ક્રિકેટ મેચમાં નેટ રનરેટનું મહત્વ દર્શાવે છે. જો કે, ઘણા ક્રિકેટ ફેન્સના મનમાં આ પ્રશ્ન ઉદ્ભવે છે કે આ નેટ રનરેટ શું છે અને તેની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે.
નેટ રનરેટ શું છે?
નેટ રનરેટ એ બે ટીમો વચ્ચેની જીત અને હાર વચ્ચેનો તફાવત છે. મેચ જીતવા માટે ટીમ જેટલા વધુ રન અથવા ઓછા બોલનો ઉપયોગ કરે છે, તેનો નેટ રનરેટ વધુ સારો હોય છે. જો કોઈ ટીમ એકતરફી રીતે મેચો સતત જીતી રહી હોય, તો તેનો અર્થ એ છે કે તે ટીમની જીત અને તેની સાથે રમી રહેલી વિરોધી ટીમની હાર વચ્ચે ઘણો તફાવત છે. આ સમયે ટીમ ઈન્ડિયાની પણ આવી જ સ્થિતિ છે. ટીમ ઈન્ડિયા પાસે અત્યારે સૌથી વધુ પોઈન્ટ છે અને સૌથી વધુ નેટ રનરેટ પણ છે.
નેટ રન રેટની ગણતરી કેવી રીતે થાય છે?
નેટ રનરેટની ગણતરી કરવા માટે, બેટિંગ રનરેટમાંથી બોલિંગ રન રેટ (આપવામાં આવેલા કુલ રન/ ઓવરોની સંખ્યા) બાદ કરીને મેળવેલો નંબર એ ટીમનો નેટ રનરેટ છે. આને ઉદાહરણ તરીકે ધ્યાનમાં લઈએ તો ધારો કે, કોઈ ટીમે 50 ઓવરમાં 200 રન બનાવ્યા છે અને વિરોધી ટીમને 50 ઓવરમાં 150 રન સુધી મર્યાદિત રાખીને મેચ જીતી લીધી છે, તો તે ટીમનો નેટ રનરેટ 1 રહેશે. આ ટીમનો બેટિંગ રનરેટ 4 અને બોલિંગ રનરેટ 3 છે અને 4માંથી 3 બાદ કરીએ તો આપણને 1 મળે છે. જેથી આ ટીમનો નેટ રનરેટ 1 થશે. નેટ રનરેટની ગણતરી કરવા માટે ટીમ કેટલી વિકેટ લે છે કે ગુમાવે છે તેનાથી કોઈ ફરક પડતો નથી.
ડકવર્થ-લુઈસ મેથડ દરમિયાન કેવી રીતે નેટ રનરેટની ગણતરી થાય છે?
જો કોઈ ટીમ નિર્ધારિત ઓવરોની સંખ્યા પહેલા મેચમાં ઓલઆઉટ થઈ જાય છે, તો તેના નેટ રનરેટની ગણતરી સમગ્ર નિર્ધારિત ઓવરોના આધારે કરવામાં આવે છે. આ ઉપરાંત જો ડકવર્થ-લુઈસ પદ્ધતિ દ્વારા મેચમાં ઓછી ઓવર હોય તો ઓવરની ઓછી સંખ્યાના આધારે નેટ રનરેટની ગણતરી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ ટીમે 50 ઓવરમાં 250 રન બનાવ્યા અને બીજી ઈનિંગમાં વરસાદને કારણે વિપક્ષી ટીમને 20 ઓવરમાં 100 રનનો લક્ષ્યાંક મળ્યો, તો 20 ઓવરના આધારે નેટ રનરેટની ગણતરી કરવામાં આવે છે.


