- આજે ભારત અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમાશે
- બેંગાલુરૂના એમ.ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાશે મેચ
- ભારતીય ટીમ હજુ ટૂર્નામેન્ટમાં એક પણ મેચ હારી નથી
ક્રિકેટ વર્લ્ડકપ 2023માં ભારતીય ક્રિકેટ ટીમ લીગ તબક્કામાં તેની છેલ્લી મેચ આજે નેધરલેન્ડ સામે રમશે. આ મેચ બેંગ્લોરના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરે 2 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ અત્યાર સુધી અજેય રહી છે, તેથી તે મેચ જીતીને સેમીફાઇનલ માટે શાનદાર તૈયારીઓ કરવા માંગશે. બીજી તરફ નેધરલેન્ડની ટીમ સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગઈ છે, પરંતુ તેની નજર ચેમ્પિયન્સ ટ્રોફી પર રહેશે.
ભારત અને નેધરલેન્ડ મેચમાં આ ખેલાડીઓ વચ્ચે થશે ટક્કર
રોહિત શર્મા VS આર્યન દત્ત
ભારતીય કેપ્ટન રોહિત શર્મા વનડે વર્લ્ડકપ 2023માં શાનદાર ફોર્મમાં જોવા મળી રહ્યો છે. તેણે 442 રન બનાવ્યા છે, ત્યારે હિટમેનને આર્યન દત્ત ટક્કર આપી શકે છે. પાવરપ્લેમાં આર્યન દત્તનું પ્રદર્શન શાનદાર જોવા મળે છે. આર્યન દત્તે વર્લ્ડકપમાં અત્યાર સુધી 10 વિકેટ લીધી છે. જેમાંથી 4 પાવરપ્લેમાં આવી છે.
સ્કોટ એડવર્ડ્સ VS કુલદીપ યાદવ
સ્કોટ એડવર્ડ્સે આ વર્લ્ડકપમાં નેધરલેન્ડની બેટિંગની કમાન સંભાળી છે. તેણે 242 રન બનાવ્યા છે. આવી સ્થિતિમાં ટીમને જીત અપાવવાની જવાબદારી તેના પર રહેશે. એડવર્ડ્સ સારી ફાસ્ટ બોલિંગ રમે છે, પરંતુ સ્પિન સામે તેનો રેકોર્ડ કાંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં ભારતીય બોલર કુલદીપ યાદવ તેને પોતાનો શિકાર બનાવી શકે છે.
વિરાટ કોહલી VS બાસ ડી લીડે
વિરાટ કોહલીએ તેની 8 ઈનિંગમાં 108.60ની એવરેજ અને 88.29ની સ્ટ્રાઇક રેટ સાથે 543 રન બનાવ્યા છે. તે આ મેચમાં સદી ફટકારીને મોટી સિદ્ધિ પ્રાપ્ત કરવ માંગશે. જો કે, કોહલીને બાસ ડી લીડે ટક્કર આપી શકે છે. આ ટૂર્નામેન્ટમાં ડચ ટીમ તરફથી બાસ ડી લીડે સૌથી સફળ બોલર રહ્યો છે. તેણે 28.92ની એવરેજથી 14 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં બંને વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી શકે છે.
ભારત અને નેધરલેન્ડ હેડ ટૂ હેડ
ભારત અને નેધરલેન્ડ વચ્ચે અત્યાર સુધીમાં કુલ 2 મેચ રમાઈ છે. જેમાંથી ભારતે બંને મેચમાં જીત મેળવી છે. પ્રથમ મેચ 2003 વર્લ્ડકપમાં થઈ હતી. જેમાં ભારત 68 રનથી જીત્યું હતું. બીજી મેચ 2011માં રમાઈ હતી. જેમાં ટીમ ઈન્ડિયા 5 વિકેટે જીત મેળવી હતી.


