– નિફટી આઈટી ઈન્ડેકસ ઘટયોઃ મોટાભાગના શેરો દબાણ હેઠળ
– એફઆઈઆઈ તથા ડીઆઈઆઈના સામસામા રાહ
મુંબઈ : ઈન્ફરમેશન ટેકનોલોજી તથા નાણાંકીય ક્ષેત્રની આગેવાની હેઠળ બ્લ્યુચીપ શેરોમાં આવેલી વેચવાલીને પગલે શેરબજારના મુખ્ય ઈન્ડાઈસિસ ઘટાડે બંધ રહ્યા હતા. સંવત ૨૦૮૦ના મુરતના સોદા માટે રવિવારે યોજાયેલા ખાસ સત્રમાં આવેલો ઉછાળો આજે સોમવારે ધોકાના દિવસે ધોવાઈ ગયો હતો. વૈશ્વિક સ્તરે ઊંચા વ્યાજ દરો ઉપરાંત ભારતીય બજારમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈ)ની નવેમ્બરમાં પણ વેચવાલી ચાલુ રહેતા ઉપરમાં બજાર ટકતું નહીં હોવાનું જોવા મળી રહ્યું છે. મૂડી’સ દ્વારા અમેરિકાના ક્રેડિટ આઉટલુકને સ્ટેબલમાંથી નેગેટિવ કરાતા તેની પણ ભારતીય બજાર પર અસર પડી હતી. બીએસઈ સેન્સેકસ જે રવિવારે મુરતના સત્રમાં ૬૫૨૫૯.૪૫ બંધ રહ્યો હતો તે સોમવારે ૩૨૫.૫૮ ઘટી ૬૪૯૩૩.૮૭ બંધ રહ્યો હતો. નિફટી૫૦ ઈન્ડેકસ જે રવિવારે ૧૯૫૨૫.૫૫ બંધ રહ્યો હતો તે પણ ૮૨ પોઈન્ટ ઘટી ૧૯૪૪૩.૫૫ બંધ રહ્યો હતો. જો કે મિડકેપ શેરોમાં આકર્ષણ રહ્યું હતું.
ઈનફરમેશન ટેકનોલોજી (આઈટી) શેરોમાં વેચવાલીને પરિણામે મોટા ભાગના નિફટી આઈટી શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટીસીએસ, ટેક મહિન્દ્રા, ઈન્ફોસિસ, એલએન્ડટી ટેકનોલોજીમાં ઘટાડો. આઈટી શેરો તબક્કાવાર મંદ પડી જવાની ધારણાં રાખવામાં આવી રહી છે.
નવેમ્બરમાં એફઆઈઆઈની વેચવાલી ચાલુ રહી હતી. વિદેશી રોકાણકારો વર્તમાન મહિનામાં કેશમાં અત્યારસુધી રૂપિયા ૬૩૫૯ કરોડના નેટ વેચવાલ રહ્યા છે જ્યારે ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ રૂપિયા ૬૧૨૨.૦૭ કરોડની નેટ ખરીદી કરી છે. મુરતના સત્રમાં એફઆઈઆઈએ રૂપિયા ૧૯૦.૦૬ કરોડનો માલ વેચ્યો હતો જ્યારે ઘરેલું રોકાણકારોની રૂપિયા ૯૫.૩૧ કરોડની નેટ ખરીદી રહી હતી.