સુરેન્દ્રનગરના શેર સટ્ટાકાંડમાં તપાસ બદલાઈ: જેતપુર પોલીસને સોંપાઈ સમગ્ર જવાબદારી
50 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોની તપાસ તેજ, ASI સસ્પેન્ડ ; જપ્ત મુદ્દામાલ, લેપટોપ-મોબાઈલ સહિતનો કબજો જેતપુર પોલીસને સોંપાયો, આંગડિયા પેઢીઓના નાણાકીય વ્યવહારો પણ રડારમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં શેરબજારના નામે ચાલી રહેલા કથિત ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગ રેકેટની તપાસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. રાજકોટ રેન્જ આઈજીના આદેશ બાદ સમગ્ર તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી પરત ખેંચી જેતપુર પોલીસને સોંપવામાં આવી છે. કેસ સાથે સંબંધિત તમામ આરોપીઓ, જપ્ત કરાયેલ ઇલેક્ટ્રોનિક સાધનો અને અન્ય મુદ્દામાલનો કબજો પણ હવે જેતપુર પોલીસને હસ્તાંતરિત કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં શેરબજારના વધઘટના ભાવ પર હાર-જીતનો જુગાર રમાડતો મોટો નેટવર્ક કાર્યરત હોવાનું સામે આવ્યું છે. તપાસ એજન્સીઓને મળેલા પ્રાથમિક પુરાવા મુજબ આ સમગ્ર ગેરકાયદેસર વ્યવહારોમાં અંદાજે 50 કરોડ રૂપિયાથી વધુની નાણાકીય લેવડદેવડ થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. કોલ સેન્ટરની માફક વ્યવસ્થા ઉભી કરીને ખાસ એપ્લિકેશન મારફતે વિવિધ શહેરોના વેપારીઓ સાથે ટ્રેડિંગનું સંચાલન કરવામાં આવતું હતું.
તપાસ દરમિયાન સામે આવેલી વિગતો મુજબ સાયલાના ધજાળા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ સંજયસિંહ રાઠોડના નિવાસસ્થાન પરથી આ નેટવર્કનું સંચાલન થતું હોવાનો ખુલાસો થયો છે. દરોડા બાદ સંજયસિંહ રાઠોડ ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળ્યું છે અને તેની સામે વિભાગીય કાર્યવાહી કરીને તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તેની શોધખોળ માટે અલગ-અલગ પોલીસ ટીમો કાર્યરત કરવામાં આવી છે.
પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે જીત-હારની રકમની વસૂલાત અને ચુકવણી માટે આંગડિયા પેઢીઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ દિશામાં પણ તપાસનો વ્યાપ વધારવામાં આવ્યો છે અને શંકાસ્પદ નાણાકીય વ્યવહારો અંગે આંગડિયા પેઢીઓની વિગતો ચકાસવામાં આવી રહી છે. બેનામી લેવડદેવડના મુદ્દે પણ તપાસ એજન્સીઓ પુરાવા એકત્રિત કરી રહી છે.
જેતપુર પોલીસ દ્વારા કેસનો કબજો સંભાળ્યા બાદ ઝડપાયેલા પાંચ આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સુરેન્દ્રનગર પોલીસ પાસેથી 29 મોબાઈલ ફોન, 10 લેપટોપ, 50થી વધુ સિમકાર્ડ, 27 નોટબુક, ચાર પેન ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ પોતાના કબજામાં લઈ ફોરેન્સિક અને ટેક્નિકલ વિશ્લેષણ શરૂ કરવામાં આવ્યું છે. જપ્ત ડિજિટલ ડેટાના આધારે રાજ્ય ઉપરાંત અન્ય રાજ્યો સાથે જોડાયેલા લોકોના નામ પણ સામે આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
તપાસ દરમિયાન પ્લસ અને મેટા ટ્રેડર્સ જેવી એપ્લિકેશનોનો ઉપયોગ કરીને ગેરકાયદેસર ટ્રેડિંગ ચલાવવામાં આવતું હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. સમગ્ર નેટવર્કમાં ટેક્નોલોજીનો વ્યાપક ઉપયોગ થતો હોવાથી ડિજિટલ પુરાવાઓની ચકાસણીને વિશેષ મહત્વ આપવામાં આવી રહ્યું છે.
આ કેસમાં અત્યાર સુધી કુલ 23 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાથે જ પ્રાથમિક તબક્કે જોરાવરનગર પોલીસ સ્ટેશન તેમજ સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. સમયસર કાર્યવાહી ન થતાં અંતે રાજકોટ રેન્જ આઈજીની ટીમે સીધી કાર્યવાહી કરી સમગ્ર રેકેટનો પર્દાફાશ કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હવે તપાસ જેતપુર પોલીસને સોંપાતા ગેરકાયદેસર ડબ્બા ટ્રેડિંગના રાજ્યવ્યાપી નેટવર્ક, આર્થિક વ્યવહારો અને તેમાં સંડોવાયેલા અન્ય વ્યક્તિઓ અંગે વધુ મહત્વના ખુલાસા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


