- ખાલિસ્તાની આતંકીનું નિવેદન
- પન્નુએ અમદાવાદની ફાઈનલ મેચને રોકી નાખવાની આપી ધમકી
- અગાઉ પણ મેચને લઈને આપી ચૂક્યો છે ધમકી
ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુને એક વીડિયો જાહેર કરીને અમદાવાદમાં ફાઈનલ મેચ રોકવાની ધમકી આપી છે. તેણે લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઇનલ મેચ રવિવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ માટે સ્ટેડિયમની અંદર અને બહાર અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.
આ દરમિયાન કેનેડામાં બેઠેલા ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ફાઈનલ મેચ રોકવાની ધમકી આપી છે. મહત્વનું છે કે પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે. વીડિયોમાં તે 1984ના શીખ રમખાણો વિશે વાત કરી રહ્યો છે. તેમણે 2002ના ગુજરાત રમખાણો વિશે પણ વાત કરી છે. વીડિયોમાં તે મુસ્લિમ અને ખ્રિસ્તી સમુદાયને ભડકાવવાનો પ્રયાસ કરે છે. પન્નુને ઈઝરાયેલ-હમાસ યુદ્ધ પર ભારતના વલણ વિશે પણ વાત કરી.
આ પહેલીવાર નથી જ્યારે પન્નુએ વીડિયો જાહેર કરીને ધમકી આપી હોય. ઑક્ટોબરની શરૂઆતમાં, પન્નુએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ઇઝરાયેલ-પેલેસ્ટાઇન યુદ્ધમાંથી શીખ લેવાની સલાહ આપી હતી, તેણે કહ્યું હતું કે જો જરૂર પડશે તો ખાલિસ્તાન લેવા માટે શીખો દ્વારા હમાસની સ્ટાઈલમાં હુમલો પણ કરવામાં આવી શકે તેમ છે. સપ્ટેમ્બરમાં ભારત-પાકિસ્તાન ICC વર્લ્ડ કપ 2023 મેચ પહેલા ધમકીઓ આપવા બદલ પન્નુ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે 4,500 જવાનો તૈનાત છે
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે 4,500 જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે. મેચ જોવા માટે પીએમ નરેન્દ્ર મોદીની સાથે અનેક વીવીઆઈપી અને વીઆઈપી પણ આવવાના છે. જેને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી છે. ટ્રાફિક વ્યવસ્થા માટે મોટી સંખ્યામાં કર્મચારીઓને તૈનાત કરવામાં આવ્યા છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ અધિકારીઓને VIP મૂવમેન્ટને કારણે સામાન્ય લોકોને મુશ્કેલી ન પડે તે સુનિશ્ચિત કરવા અને બંધ રસ્તાઓ અને ડાયવર્ઝન વિશે લોકોને અગાઉથી જાણ કરવાના નિર્દેશ આપ્યા હતા. મહત્વનું છે કે ફાઈનલ મેચના એક દિવસ પહેલા જ તેમણે ઉચ્ચ અધિકારીઓ સાથે મીટિંગ કરીને તમામ તૈયારીઓની સમીક્ષા કરી હતી.


