- ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની જન્મજયંતિએ થશે પુસ્તકનું વિમોચન
- પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી વિશે ઘણા ચોંકાવનારા દાવા
- રાહુલ કાર્યાલયને AM,PMમાં ફરક નથી ખબર, PMO કઈ’રીતે ચલાવશે?: પુસ્તકમાં ખુલાસો
ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ દિવંગત પ્રણવ મુખર્જીના દીકરી શર્મિષ્ઠા મુખર્જી દ્વારા લખવામાં આવેલ એક પુસ્તક આજકાલ ખાસ્સું ચર્ચામાં છે. શર્મિષ્ઠા મુખર્જીએ પોતાના પુસ્તક ‘In Pranab, My Father: A Daughter Remembers’માં પ્રણવ મુખર્જીને ટાંકીને અનેક મોટા દાવા કર્યા છે. જેમાં, પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને લઈને પણ અનેક મોટા દાવા કરવામાં આવ્યા છે.
દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની દીકરી શર્મિષ્ઠા મુખર્જી દ્વારા લખવામાં આવેલા પુસ્તક-‘In Pranab, My Father: A Daughter Remembers’ – આજીવન કોંગ્રેસીની ડાયરીમાં લખેલી વાતો પર આધારિત છે. શર્મિષ્ઠા મુખર્જીએ પુસ્તકમાં લખ્યું છે કે તેના પિતા (પ્રણવ મુખર્જી)એ એકવાર કહ્યું હતું કે રાહુલ ગાંધી ‘ખૂબ જ નમ્ર’ અને ‘પ્રશ્નોથી ભરપૂર’ છે. પરંતુ તેઓ માનતા હતા કે રાહુલ ગાંધી હજુ રાજકીય રીતે પરિપક્વ થયા નથી.
શર્મિષ્ઠાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે કે રાહુલ ગાંધી ઘણીવાર મારા પિતા પ્રણવ મુખર્જીને મળવા આવતા હતા. મારા પિતાએ એકવાર કહ્યું હતું કે જો રાહુલ ગાંધીનું કાર્યાલય AM અને PM વચ્ચે તફાવત કરી શકતું નથી, તો તેઓ એક દિવસ PMO ચલાવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?” શર્મિષ્ઠા મુખર્જીનું આ પુસ્તક પ્રણવ મુખર્જીની જન્મ જયંતી એટલે કે 11 ડિસેમ્બરે લોન્ચ કરવામાં આવશે.
કોંગ્રેસના પૂર્વ નેતા શર્મિષ્ઠા મુખર્જીએ તેમના પુસ્તકમાં રાહુલ ગાંધી અને ગાંધી પરિવાર સાથેના તેમના સંબંધો વિશે તેમના પિતા પ્રણવ મુખર્જીની ટીકાત્મક ટિપ્પણીઓ પર તેમના મંતવ્યો શેર કર્યા છે.
પુસ્તકમાં એક જગ્યાએ શર્મિષ્ઠા મુખર્જી લખે છે, “એક સવારે, રાહુલ ગાંધી મુગલ ગાર્ડન (હાલ અમૃત ઉદ્યાન)માં તેમના નિયમિત મોર્નિંગ વોક દરમિયાન પ્રણવ મુખર્જીને મળવા આવ્યા હતા. પ્રણવ મુખર્જીને તેમની મોર્નિંગ વોક અને પૂજા દરમિયાન કોઈ વિક્ષેપ પસંદ નથી. તેમ છતાં, તેમણે રાહુલ ગાંધીને મળવાનું નક્કી કર્યું. પાછળથી ખબર પડી કે વાસ્તવમાં રાહુલ ગાંધી સાથેની મુલાકાત સાંજે નક્કી કરવામાં આવી હતી. પરંતુ રાહુલ ગાંધીની ઓફિસે તેમને ભૂલથી કહ્યું કે મીટિંગ સવારે છે. મને ADCમાંથી એકે આ ઘટના અંગે જણાવ્યું હતું. જ્યારે મેં પિતાને પૂછ્યું, ત્યારે તેમણે કટાક્ષમાં ટિપ્પણી કરી હતી કે “જો રાહુલ ગાંધી કાર્યાલય AM અને PM વચ્ચે તફાવત કરી શકતી નથી, તો તેઓ એક દિવસ PMO ચલાવવાની અપેક્ષા કેવી રીતે રાખી શકે?’
આ પુસ્તકમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર તીખા પ્રહારો કરેલાં છે. પ્રણવદાએ પોતાની ડાયરીમાં રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું કે તેનામાં રાજકીય સમજ નથી. તે કોંગ્રેસ માટે મુશ્કેલી ઊભી કરશે. તેને રાજકીય રીતે અપરિપક્વ ગણાવ્યો છે. 2013માં જ્યારે રાહુલે એ અધ્યાદેશને ફગાવી દીધો કે જેમાં દોષિત રાજકારણીઓને બચાવવા માંગ કરવામાં આવી હતી તે રાત્રે પ્રણવ મુખર્જીએ પોતાની ડાયરીમાં લખ્યું હતું કે રાહુલ ગાંધીએ આજે અજય માકનની પ્રેસ કોન્ફરન્સને હાઇજેક કરી લીધી હતી અને કેબિનેટના નિર્ણયને બકવાસ ગણાવ્યો હતો. આ બાબત અનાવશ્યક હતી.


