કલમ 370 હટાવ્યા બાદ જમ્મુ અને કાશ્મીરમાંથી લડાખને અલગ કરાયું હતું. વિશાળ લડાખ પ્રદેશ નાહકનું એક રાજ્ય સાથે જોડાઈને ભોગવ્યા કરતું હતું. લડાખને અલગ કર્યા પછી બાકીનો ભાગ હતો ત્યાં ચૂંટણી કરવાની છે. તે માટેની તૈયારીઓ લાંબા સમયથી ચાલે છે, પણ તે માટે જરૂરી કેટલાક કાયદાકીય સુધારઓ કરવાના હતા. તેને લગતા બે ખરડા શિયાળુ સત્રમાં રજૂ થયા છે. જમ્મુ એન્ડ કાશ્મીર રિઝર્વેશન (અમેન્ડમેન્ટ) બીલ, 2023 અને જમ્મુ એન્ડ કાશ્મીર રિઓર્ગેનાઇઝેશન (અમેન્ડમેન્ટ) બીલ, 2023. આ બંને કાયદા દ્વારા કાશ્મીર વિધાનસભાની બેઠકોની સંખ્યામાં પણ ફેરફાર થશે અને સાથે જ પીઓકે પરનો ભારતનો અધિકાર પણ વ્યક્ત થશે. 24 બેઠકો પાકિસ્તાનના કબજાના કાશ્મીર પ્રદેશમાં ગણવામાં આવી છે અને તે રીતે જ 90 બેઠકોની વિધાનસભા બનશે.
આ ઉપરાંત અગત્યનો ફેરફાર એ પણ થયો છે કે જમ્મુ વિસ્તારમાં હવે અગાઉની 37ની જગ્યાએ 43 બેઠકો થશે, જ્યારે કાશ્મીર ખીણની બેઠકો 46 હતી તે 47 થશે. કાશ્મીર ખીણ પ્રદેશમાં વધારે બેઠકો હોવાથી જમ્મુમાં મતદારો ગમે તે રીતે મતદાન કરે, તેમના માટે સરકારમાં એક પ્રકારે હિસ્સેદારી આવતી નહોતી. હવે બંને પ્રદેશોમાં લગભગ સમાન સંખ્યામાં બેઠકો થઈ છે ત્યારે થોડું સંતુલન થશે. જોકે હજી પણ કાશ્મીર ખીણની બેઠકો ચાર વધારે છે, પરંતુ તેને પણ એક પ્રકારે રાજકીય પક્ષો માટે ચેલેન્જ ગણીને સંતુલન સાધવા માટેનું રાજકારણ કરે તે રીતે જોવું જોઈએ.
24 બેઠકો કાગળ પર ગણાશે, પણ તે ખાલી પડેલી હશે. પાકિસ્તાનના કબજામાં તે બેઠકો છે અને તેને વિધાનસભાની કુલ બેઠકોમાં ગણાવીને ભારતે દુનિયાને એ મેસેજ આપ્યો છે કે આ વિસ્તાર મૂળભૂત રીતે અમારો છે. ભાગલા વખતે પાકિસ્તાને કબીલા લોકોના નામે સૈનિકોને મોકલીને ઘણો વિસ્તાર કબજે કરી લીધો હતો. તેમાંથી કેટલોક પાછો મેળવી શકાયો, પણ મોટા ભાગનો પાકિસ્તાનના કબજામાં રહી ગયો હતો.
નવા રાજ્યની રચના પછી કેવી રીતે સીમાંકન કરવામાં આવે તે માટે લાંબી પ્રક્રિયા ચાલી. આ માટે પંચ બેસાડાયું હતું તેમની સમક્ષ વિવિધ સમુદાયો અને વિસ્થાપિત થયેલા કાશ્મીરી લોકોએ પણ રજૂઆતો કરી હતી. તેથી તેમને માટે પણ અનામત બેઠક રાખીને પ્રતિનિધિત્વ આપી શકાય તેવી માગણીઓ થઈ હતી. ગૃહ પ્રધાન અમિત શાહે સંસદમાં ખરડા વિશે ચર્ચા કરતી વખતે કહ્યું કે આ રજૂઆતો પછી સીમાંકન પંચે સૌને પ્રતિનિધિત્વ મળે તે રીતે બેઠકો ગોઠવી છે તે આનંદની વાત છે. નવી રચનામાં બે બેઠકો કાશ્મીરી વિસ્થાપિતો માટે અનામત રાખવામાં આવશે. તેમાં પણ એવી જોગવાઈ કરાઈ છે કે એક બેઠક પીઓકેમાંથી વિસ્થાપિત થયેલા લોકો માટે પણ ગણાશે. પીઓકે માટે 24 બેઠકો અનામત રખાઈ છે, ક્યૂંકી વો હમારા હૈ એવું અમિત શાહે સંસદમાં કહ્યું હતું.
રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં પાંચ સભ્યોની નિયુક્તિ કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે. વિસ્થાપિતોને પ્રતિનિધિત્વ મળે, મહિલાઓને પ્રતિનિધિત્વ મળે તે માટે આ જોગવાઈઓ ઉપયોગી થશે. સત્તાવાર આંકડા પ્રમાણે 46,631 પરિવારો અને 1,57,967 લોકોને પોતાના જ દેશના એક પ્રદેશમાંથી વિસ્થાપિત થવું પડ્યું છે એમ જણાવીને ગૃહ પ્રધાને કહ્યું કે આ વિસ્થાપિતોને આખરે અધિકારો અને પ્રતિનિધિત્વ મળી શકશે.
કાશ્મીરમાં ઘણા અંશે શાંતિ સ્થપાઈ છે. આજે પણ પાકિસ્તાનમાંથી આતંકીઓ ઘૂસી જાય છે અને તેની સાથે અથડામણ થાય છે, પણ તે લાંબો સમય ચાલશે અને તેની સામે સતત સંઘર્ષ ચાલુ રાખવો પડશે. પરંતુ યુવાનોને ઉશ્કેરીને સતત પથ્થરમારો, બંધ, તોફાનો, દેખાવોને કારણે કાયમી મુશ્કેલી હતી તેમાં ઘણો ફેર પડ્યો છે. કાશ્મીરના સમજદાર લોકો પણ ત્રાસવાદીઓ અને ભાગલાવાદીઓથી ત્રાસેલા છે, કેમ કે તણાવ હોય ત્યારે ટુરિઝમ અટકી પડે છે. મુખ્ય આવક ટુરિઝમ પર છે ત્યારે તેને ફરીથી ચાલુ કરવા અને ચાલુ રાખવા માટે શાંતિ જરૂરી છે. તેના સારા ફળ હોટેલ અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રીને દેખાયા છે. બીજું સફરજનની ખેતીથી માંડીને અન્ય ઉદ્યોગો પણ શાંતિ હોય ત્યારે જ ચાલી શકે. આ બધા માટે પ્રયાસો પછી ચૂંટણી કરાવવી પણ જરૂરી છે અને તેના માટે કદાચ હવે તડામાર તૈયારીઓ થશે. મોટા ભાગે લોકસભાની સાથે જ અહીં ચૂંટણી થઈ શકશે, જો પરિસ્થિતિ આ પ્રમાણે જ શાંતિમય રહી તો.
કાશ્મીરમાં હવે લોકસભા સાથે ચૂંટણીની તૈયારીઓ
