જૈન આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરથી ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો કર્યો પ્રારંભ
આચાર્ય લોકેશજીએ વિશ્વભરમાં ભારત અને ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું છે : ડૉ. રાજેન્દ્ર દર્ડા
અગ્ર ગુજરાત, રાજકોટ
અહિંસા વિશ્વ ભારતી અને વિશ્વ શાંતિ કેન્દ્રના સ્થાપક, પ્રખ્યાત જૈન સંત તથા વિશ્વ શાંતિદૂત આચાર્ય લોકેશજીએ છત્રપતિ સંભાજીનગરના સંત એકનાથ રંગ મંદિર, ઉસ્માનપુરામાં ‘પીસ એજ્યુકેશન સિરીઝ’નો શુભ પ્રારંભ કરાવ્યો. અમેરિકા ખાતેની સફળ શાંતિ અને સદભાવના યાત્રા પૂર્ણ કર્યા બાદ મહારાષ્ટ્રમાં યોજાયેલા તેમના પ્રથમ કાર્યક્રમમાં તેમનું ભવ્ય અને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું.
આચાર્ય લોકેશજીએ જણાવ્યું કે, “શાંતિ શિક્ષણ માત્ર એક વિષય નથી, પરંતુ જીવન જીવવાની એક કળા છે. તેનો હેતુ એવા જાગૃત નાગરિકોનું નિર્માણ કરવાનો છે, જે પોતે પણ શાંતિપૂર્ણ જીવન જીવે અને સમાજમાં સદભાવના, સંવાદ અને સહયોગની સંસ્કૃતિને મજબૂત બનાવે.” તેમણે ઉમેર્યું કે આજે વિશ્વ અનેક પડકારોનો સામનો કરી રહ્યું છે, જેના સ્થાયી ઉકેલ માટે શિક્ષણ, નૈતિક મૂલ્યો અને અહિંસાનો માર્ગ જ સૌથી અસરકારક છે.
લોકમત મીડિયા ગ્રૂપના એડિટર-ઇન-ચીફ ડૉ. રાજેન્દ્ર દર્ડાએ જૈન આચાર્ય લોકેશજીના માનવતાવાદી કાર્યોની પ્રશંસા કરતાં જણાવ્યું કે આજના સમયમાં શાંતિ, નૈતિકતા અને માનવીય મૂલ્યો આધારિત શિક્ષણની જરૂરિયાત અગાઉ કરતાં વધુ છે. તેમણે ‘પીસ એજ્યુકેશન સિરીઝ’ને દુરંદેશી અને સમયાનુકૂળ પહેલ ગણાવી અને જણાવ્યું કે આ અભિયાન યુવાનોમાં સકારાત્મક વિચારસરણી, સામાજિક જવાબદારી અને વૈશ્વિક નાગરિકત્વની ભાવનાને મજબૂત બનાવશે.
આ કાર્યક્રમમાં નિર્મલ જીવન ફાઉન્ડેશનના ડૉ. વિશાલ લાડણિયા તથા પ્રખ્યાત મોટિવેશનલ સ્પીકર સાજન શાહે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. મોટી સંખ્યામાં યુવાનો, શિક્ષણવિદો, સામાજિક કાર્યકરો, વિવિધ ધાર્મિક અને સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તેમજ અગ્રણી નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.


