- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમાશે
- 3 T20, 3 ODI અને પછી 2 મેચની ટેસ્ટ સિરીઝ રમાશે
- T20 સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી
ભારતીય ટીમ સાઉથ આફ્રિકાના પ્રવાસે છે. જ્યાં ટીમ ઇન્ડિયાએ ત્રણેય ફોર્મેટમાં સિરીઝ રમવાની છે. આ પ્રવાસની શરૂઆત T20 સિરીઝથી થઈ છે. 3 મેચની T20 સિરીઝની પ્રથમ મેચ વરસાદના કારણે રદ્દ કરવામાં આવી હતી, પરંતુ આ સિરીઝમાં હજુ બે મેચ બાકી છે. તે જ સમયે, T20 પછી, 3 મેચની ODI અને પછી 2 મેચની ટેસ્ટ સિરીઝ શરૂ થશે. ભારતીય ક્રિકેટ ફેન્સ ટેસ્ટ મેચમાં બે મોટા ખેલાડી રોહિત શર્મા અને વિરાટ કોહલીને રમતા જોઈ શકશે. તેમના નામ અન્ય બે ફોર્મેટમાં સામેલ કરવામાં આવ્યા નથી.
વર્લ્ડ કપ બાદ વિરાટ કોહલીની પ્રથમ મેચ
વિરાટ કોહલીએ ગત ODI મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને તે સૌથી વધુ રન બનાવનાર બેટર બન્યો હતો. તેને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. વર્લ્ડ કપની ફાઈનલ મેચ બાદ વિરાટ કોહલી પ્રથમ મેચ સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ સિરીઝમાં રમશે. ભારતીય ટીમ માટે સાઉથ આફ્રિકામાં એક પણ ટેસ્ટ મેચ જીતવી હંમેશા પડકારજનક રહી છે, પરંતુ વિરાટ કોહલીએ તે પરિસ્થિતિઓમાં પણ બાઉન્સ અને સ્વિંગ વડે પોતાની ક્ષમતા સાબિત કરી છે.
જેક કાલિસે વિરાટ કોહલીને મહાન ખેલાડી ગણાવ્યો
આવી સ્થિતિમાં સાઉથ આફ્રિકા સામેની આ ટેસ્ટ સિરીઝમાં ટીમ ઈન્ડિયા વિરાટ કોહલી પર નિર્ભર કરશે. આ વિશે વાત કરતા સાઉથ આફ્રિકાના પૂર્વ ખેલાડી અને વિશ્વના મહાન ઓલરાઉન્ડરમાંના એક જેક કાલિસે વિરાટ કોહલીની ખુબ જ પ્રશંસા કરી છે. વિરાટ વિશે વાત કરતા કાલિસે કહ્યું કે, તે ઘણો મોટો ખેલાડી છે, ટીમમાં તેની મોટી ભૂમિકા છે, અને જો ટીમ ઈન્ડિયા સિરીઝ જીતશે તો અમને શાનદાર ટેસ્ટ સિરીઝ જોવા મળશે. આવી સ્થિતિમાં હવે જોવાનું એ રહેશે કે શું રોહિત શર્માની ટીમ માત્ર 2 મેચની ટેસ્ટ સિરીઝમાં લીડ મેળવે છે કે ટેમ્બા બાવુમા ઘરઆંગણાની સ્થિતિમાં ટીમને સિરીઝ જીતાડવામાં સફળ રહે છે.
વિરાટ કોહલીનું પ્રદર્શન
વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં અત્યાર સુધી 111 મેચ રમી છે. દરમિયાન 187 ઇનિંગ્સમાં 49.03ની એવરેજથી 8676 રન બનાવ્યા છે. જેમાં 29 ફિફ્ટી, 29 સદી અને 7 બેવડી સદીનો સમાવેશ થાય છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 254* રન છે.


