દ્વારિકાધીશના સાનિધ્યમાં મહારાસની મહા તૈયારી
રવિવારે પરોઢના પાંચ વાગ્યે 37,000 આહીરાણીઓ મહારાસ રચી વિક્રમ સર્જશ
અદભુત અને અલૌકિક ભગવાન દ્વારકાધીશજીના સાનિધ્યમાં અખિલ ભારતીય આહિરાણી સંગઠન દ્વારા તા. 23 અને 24 ડિસેમ્બર દરમિયાન દ્વારકા ખાતે બે દિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા.24 ના રોજ આહીરાણી મહારાસ’ નું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે.શ્રી કૃષ્ણ પરમતત્વની પાવન-પવિત્ર ઉપસ્થિતિનાં હ્દયનાં ભક્તિભાવ સાથે ગુજરાત અને વિશ્વભરની 37000 આહીરાણી બહેનો-માતાઓ એક સાથે પરોઢના 5:00 વાગ્યા થી દિવ્ય મહારાસ રચશે.દ્વારિકાના પ્રાંગણે પાંચ હજાર વર્ષ પૂર્વેની વ્રજમાં થયેલ શ્રી કૃષ્ણ અને આધ્યાત્મિક રાસલીલાનું સંસ્મરણ થઇ વિશ્વ ઇતિહાસ રચાશે.
આ મહારાસને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ છે.ગામે ગામ અને શહેરમાંથી બહેનો પૂર્વ તૈયારી માટે દ્વારકા પહોંચી ગયા છે ત્યારે રાજકોટથી પણ 20 બહેનોની કમિટી પહોંચીને તૈયારીમાં લાગી ગયા છે.મહારાસ પહેલા ભગવાનના આગમનને વધાવવા બહેનોએ સમગ્ર દ્વારકા પોતાના હાથે સ્વચ્છ કર્યું હતું.દરેક બહેનોને સોંપાયેલ કામગીરી પૂર્ણ કરવા આજે બહેનો તૈયારીમાં લાગી ગઈ હતી.રાજકોટ થી 15 બસ અને પોતાના વાહનો સાથે 3500 બહેનો અને પરિવારજનો પહોંચશે.
દ્વારકાની 800 વીઘા ભૂમિ પર યોજાનાર આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજિત 2.5 લાખ લોકો જોડાશે.મહારાસ સાથે વુમન બિઝનેસ એક્સ્પોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. મહા રાસમાં ભાગ લેનાર 37000 બહેનોનાં પરિવાર સુધી પ્રસાદ અને યાદગીરી રૂપે શ્રીમદ ભગવતગીતા ગ્રંથ પહોંચશે.રાસલીલાનાં માધ્યમથી કુષ્ણ ભક્તિ,વિશ્વ શાંતિ,એકતા,વ્યસન મુક્તિ, સ્વચ્છતાનો સંદેશ પહોંચાડવા માં આવશે.આ મહારાસમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત મુંબઈ, દિલ્લી, યુ.પી, બિહાર, ઝારખંડથી બહેનો રાસ રમવા દ્વારકા પહોંચશે. ભારત બહાર અમેરિકા, દુબઈ, કેનેડા, સાઉથ આફ્રિકા સહિત વિદેશથી બહેનો દ્વારકા ખાતે ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ મહારાસ “ન ભૂતો ન ભવિષ્યતિ”બનશે તેમાં કોઈ શંકા નથી.