વોર્ડ નં.૧૮ના લોકો ૪ મહિનાથી દુષિત પાણી પીવા મજબૂર
કોઠારીયામાં ત્રણ લાખ લીટર ક્ષમતાનો ટાંકો હોવા છતાં વિતરણ વ્યવસ્થાના અભાવે ૪પ સોસાયટીમાં દુષિત પાણીનું વિતરણ : વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ નહી સુધરતા સ્થાનિકો ત્રાહિમામ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટનાં વોર્ડ નંબર 18નાં અનેક વિસ્તારોમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રસ્ત બન્યા છે. હરિધવા રોડ સહિતના છેવાડાના વિસ્તારોમાં છેલ્લા 3 થી 4 મહિનાથી ગંદા અને દૂષિત પાણીનું વિતરણ થતાં હજારો નાગરિકો ભારે મુશ્કેલીનો સામને કરી રહ્યા છે. કોઠારીયામાં 3 લાખ લીટર ક્ષમતાનો ટાંકો હોવા છતાં યોગ્ય વિતરણ વ્યવસ્થા નહીં હોવાને કારણે 45 જેટલી સોસાયટીઓમાં દૂષિત પાણી વિતરણ થાય છે. આ મામલે વારંવાર રજૂઆતો કરવા છતાં સેમ્પલ લેવા સિવાય કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં હોવાનો આરોપ સ્થાનિકોએ લગાવ્યો છે. આ વિસ્તારનાં કોંગ્રેસ આગેવાન નરેશ ગઢવીએ તો ત્યાં સુધી જણાવ્યું કે, જનરલ બોર્ડમાં મોટી વાતો થાય છે પણ લોકોના કામ થતા નથી.
નરેશ ગઢવીએ તંત્ર પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે ચોમાસું શરૂ થયું ત્યારથી જ આ સમસ્યા વિકરાળ બની છે. DI લાઇન નાખ્યા બાદ ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની લાઇન ભેગી થઈ ગઈ હોય તેમ લાગે છે. જનરલ બોર્ડમાં અધિકારીઓ મોટા બણગા ફૂંકે છે, પરંતુ અહીં સુખરામનગરમાં 3 લાખ લીટરનો ટાંકો હોવા છતાં 45 જેટલી સોસાયટીઓ દૂષિત પાણી પીવા મજબૂર છે. કાયદેસરનો વેરો ભરવા છતાં જનતાને શુદ્ધ પાણી મળતું નથી. કોન્ટ્રાક્ટ બેઝ પર ચાલતા કામોમાં ભારે ભ્રષ્ટાચાર છે અને અધિકારીઓ માત્ર ટેબલ પર બેસીને કાગળ પર કામ કરે છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, વોર્ડ નંબર 18ના અનેક વિસ્તારો જેવા કે બાબરીયા કોલોની, વિનોદનગર, સુખરામનગર, મોરારીનગર અને અયોધ્યા સોસાયટીમાં નળ વાટે અતિશય ગંદુ, પીળું અને દુર્ગંધયુક્ત પાણી આવી રહ્યું છે. જયાંથી પાણીનું વિતરણ થાય છે તે ટાંકા પાસેના વિસ્તારોમાં જ આ ગંભીર સમસ્યા સર્જાતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ દૂષિત પાણી પીવાના કારણે સ્થાનિક રહીશોમાં ઝાડા-ઉલટી અને અન્ય પેટના ગંભીર રોગોનું પ્રમાણ વધ્યું છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો બીમાર પડી રહ્યા છે, છતાં મનપાના અધિકારીઓ કે આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી.
પેશાબ જેવુ પીળુ પાણી આવે છે : રહેવાસી
સ્થાનિક રહીશ સવિતાબેને પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે અમારા વિસ્તારમાં છેલ્લા 3 થી 4 મહિનાથી પેશાબ જેવું પીળું અને અત્યંત ગંદુ પાણી આવી રહ્યું છે. કુંડીઓ સાફ કરવા કે સમસ્યાનો ઉકેલ લાવવા માટે વારંવાર અરજીઓ કરી છે, પરંતુ મનપાના અધિકારીઓ કોઈ જવાબ આપતા નથી અને સ્થળ પર તપાસ કરવા પણ આવતા નથી.
નળ શરૂ કરતા ગંદુ પાણી આવે છે : સ્થાનિક
સ્થાનિક રહીશ શ્વેતાબેન ડાભીના જણાવ્યા અનુસાર, નળ શરૂ થાય ત્યારે પ્રથમ 10 મિનિટ સુધી અત્યંત ગંદુ પાણી આવે છે, જેના કારણે ઘરમાં પાણી ભરવું પણ મુશ્કેલ બની ગયું છે. દૂષિત પાણી અને ગંદકીના કારણે ઘરોમાં ઝાડા-ઉલટીનો રોગચાળો ફેલાયો છે. લાઇન સાફ કરવા કે ગટરની સમસ્યા ઉકેલવા માટે રજૂઆત કરીએ તો પણ 3-3 દિવસ સુધી કોઈ ડોકાતું નથી. થોડા દિવસ પહેલા નમુના લઈ ગયા હતા. પરંતુ બાદમાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.


