– વૈશ્વિક મંદીએ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું સેન્ટીમેન્ટ ડહોળાયું
Updated: Oct 1st, 2023
મુંબઈ : સપ્ટેમ્બર મહિનાના અંતે સેન્સેક્સ અને નિફટી મજબૂતી સાથે વધી આવ્યા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (એફઆઈઆઈઝ)ની શેરોમાં સતત વેચવાલી રહી સપ્ટેમ્બર મહિનામાં રૂ.૨૬,૬૮૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી છે. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો મહિનાના અંતિમ દિવસે શુક્રવારે રૂ.૨૭૫૧.૪૯ કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. જ્યારે એફપીઆઈ-એફઆઈઆઈઝની રૂ.૧૬૮૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ છે.
એફઆઈઆઈઝની મહિનામાં રૂ.૨૫,૦૦૦ કરોડની કેશ માર્કેટમાં કુલ વેચવાલી થઈ છે. યુ.એસ. ટ્રેઝરી યીલ્ડ ૧૬ વર્ષની ઊંચાઈએ પહોંચવા અને ક્રુડ ઓઈલના ભાવ પણ વધીને બેરલ દીઠ ૯૮ ડોલરની ઊંચાઈએ પહોંચવાની સાથે વ્યાજ દરો ઊંચા જળવાઈ રહેવાના અંદાજોએ ફોરેન ફંડો સતત વેચવાલ રહ્યા છે. એફઆઈઆઈઝની ઓગસ્ટ મહિનાથી સતત શેરોમાં વેચવાલી થઈ રહી છે.
આ સાથે સપ્ટેમ્બરમાં એફઆઈઆઈઝની રૂ.૨૬,૬૮૯ કરોડની વેચવાલી થઈ છે. સપ્ટેમ્બર મહિનામાં સ્થાનિક બજારોમાં વોલેટીલિટી વધતી જોવાઈ છે. વ્યાજ દરો ઊંચા રહેવાના અંદાજો અને વૈશ્વિક આર્થિક મંદીના પરિણામે સેન્ટીમેન્ટ ડહોળાયું છે. જો કે આ મહિનામાં નિફટી ૫૦ ઈન્ડેક્સ બે ટકા વધ્યો છે.
જ્યારે સેન્સેક્સ ૧.૫ ટકા વધ્યો છે. સપ્ટેમ્બર મહિનામાં બીએસઈ સ્મોલ કેપ ઈન્ડેક્સ એક ટકા વધ્યો છે. બીએસઈ મિડ કેપ ઈન્ડેક્સ ૩.૭ ટકા વધ્યો છે.
નિફટી મહિનાના અંતિમ દિવસે ૧૧૫ પોઈન્ટ વધીને ૧૯૬૩૮.૩૦ અને સેન્સેક્સ ૩૨૦ પોઈન્ટ વધીને ૬૫૮૨૮.૪૧ બંધ રહ્યા છે.