- બિહારના દિઘા અને સોનપુર વચ્ચે ગંગા નદી પર બનશે 6 લેનનો બ્રિજ
- 6 લેનનો બ્રિજ માટે કેન્દ્ર સરકાર કરશે રૂપિયા 3,064.45 કરોડનો ખર્ચ
- ત્રિપુરામાં ખોવાઈ-હરિના રોડ વચ્ચેના 135 કિમીના પટને સુધારવા મંજૂરી
બુધવારે કેન્દ્રીય કેબિનેટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયોને મંજૂરી આપી છે. કેબિનેટે બિહારના દિઘા અને સોનપુર વચ્ચે ગંગા નદી પર 6 લેનનો બ્રિજ બનાવવાની મંજૂરી આપી છે. આ સાથે ઉત્તર ત્રિપુરા અને દક્ષિણ ત્રિપુરાને જોડવા સંબંધિત પ્રસ્તાવને પણ કેબિનેટ તરફથી લીલી ઝંડી મળી ગઈ છે. કેન્દ્રીય કેબિનેટે નારિયેળ પર MSP વધારવાની પણ મંજૂરી આપી દીધી છે. કેબિનેટે બિહારના દિઘા અને સોનપુરને જોડતી ગંગા નદી પર 4.56 કિલોમીટર લાંબા 6 લેન બ્રિજના નિર્માણને મંજૂરી આપી છે. બિહારમાં ગંગા નદી પર 6 લેનનો પુલ બનાવવાના પ્રોજેક્ટ પર કુલ રૂ. 3,064.45 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બુધવારે આ અનેગ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે ગંગા નદી પર નિર્માણ પામનાર 6 લેન બ્રિજની નીચેથી મોટા પાણીના જહાજો પણ પસાર થઈ શકશે. આ બ્રિજથી દેશમાં નદીઓના જળમાર્ગોને પ્રોત્સાહન આપવાના સરકારના વિઝનને પણ વેગ મળશે. કેન્દ્રીય કેબિનેટે ત્રિપુરામાં ખોવાઈ-હરિના રોડ વચ્ચેના 135 કિલોમીટરના પટને સુધારવા અને પહોળા કરવાની યોજનાને મંજૂરી આપી છે. આ પ્રોજેક્ટમાં રૂ. 2,486.78 કરોડનું રોકાણ કરવામાં આવશે. જેના માટે 1,511.70 કરોડ રૂપિયાની લોન લેવામાં આવશે.
કેબિનેટે 2023 સીઝન માટે નાળિયેરના ભાવમાં MSPને મંજૂરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની કેબિનેટ સમિતિએ 2023ની સિઝન માટે નારિયળના લઘુત્તમ સમર્થન મૂલ્ય (MSP)ને મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી એગ્રીકલ્ચરલ કોસ્ટ એન્ડ પ્રાઈસ કમિશનની ભલામણો અને નારિયેળ ઉત્પાદક રાજ્યોની માંગના આધારે આપવામાં આવી છે.
2023 સીઝન માટે, મિલિંગ કોપરા (સૂકા નારિયેળના શેલ) ની વાજબી સરેરાશ ગુણવત્તા માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. 10860/- અને બોલ કોપરા માટે રૂ. 11750/- પ્રતિ ક્વિન્ટલ MSP નક્કી કરવામાં આવી છે. છેલ્લી સીઝનની સરખામણીમાં, કોપરાની મિલિંગ માટે રૂ. 270/- પ્રતિ ક્વિન્ટલ અને બોલ કોપરા માટે રૂ. 750/- પ્રતિ ક્વિન્ટલનો વધારો કરવામાં આવ્યો છે.
ઓલ ઇન્ડિયા વેઇટેડ એવરેજ પ્રોડક્શન કોસ્ટ પર મિલિંગ કોપરા માટે 51.82 ટકા અને બોલ કોપરા માટે 64.26 ટકા નફો સુનિશ્ચિત કરશે. આ નિર્ણય 2023ની સિઝન માટે કોપરાના MSPને સરકાર દ્વારા બજેટ 2018-19માં જાહેર કરાયેલ અખિલ ભારતીય ભારાંકિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા સ્તરે નક્કી કરવાની પ્રતિબદ્ધતા અનુસાર લેવામાં આવ્યો છે.


