- સરકારી ઓઈલ કંપનીઓનો ચોખ્ખો નફો વિક્રમી રૂ. 75,000 કરોડથી વધારે થવાની સંભાવના
- વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે
- તેથી સરકારી ઓઈલ કંપનીઓને સસ્તી કિંમતે ક્રૂડ ઓઈલ મળી રહ્યું છે
પેટ્રોલ-ડીઝલની ઊંચી કિંમતોથી પરેશાન લોકો માટે એક સારા સમાચાર છે. આગામી મહિને લોકોને પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં મોટી રાહત મળી શકે છે. પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લિટરે રૂ. પાંચથી દસનો ઘટાડો આવી શકે છે. વાસ્તવમાં સરકારી ઓઈલ કંપનીઓ પોતાના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા બાદ આગામી મહિને ઇંધણની કિંમતોમાં ઘટાડો કરવા વિચારણા કરી શકે છે. કિંમતોમાં ઘટાડા પાછળનું મુખ્ય કારણ કંપનીઓનો રેકોર્ડ નફો બની શકે છે. અહેવાલો અનુસાર સરકારી ઓઈલ કંપનીઓનો ચોખ્ખો નફો વિક્રમી રૂ. 75,000 કરોડથી વધારે થવાની સંભાવના છે. બીજી તરફ વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો થયો છે તેથી સરકારી ઓઈલ કંપનીઓને સસ્તી કિંમતે ક્રૂડ ઓઈલ મળી રહ્યું છે. તેને કારણે પણ કંપનીઓના નફામાં તીવ્ર વધારો થયો છે. નોંધનીય છે કે જાહેર ક્ષેત્રની કંપનીઓએ વર્ષ 2022ના એપ્રિલથી કિંમતમાં વધારો કર્યો નથી.
લિટર ઈંધણ પર કંપનીઓનું રૂપિયા 10નું માર્જિન
એક ટોચના અધિકારીઓ અનુસાર હાલમાં કિંમત નક્કી કરવા ભારે ચર્ચા વિચારણા ચાલી રહી છે. કંપનીઓ હાલમાં દરેક લિટર ઇંધણ પર રૂ. 10નું માર્જિન ધરાવે છે. આ ફાયદો ગ્રાહકોને પાસ કરવાની ચર્ચા થઈ રહી છે. કંપનીઓના આ પગલાંથી મોંઘવારીમાં ઘટાડો કરવામાં પણ મદદ મળી શકે તેમ છે. વળી આ પગલું ૨૦૨૪માં યોજાનારી ચૂંટણી માટે પણ મહત્ત્વપૂર્ણ બની શકે છે.
મહિનાના અંતમાં કંપનીનાં પરિણામો જાહેર થશે
અહેવાલો અનુસાર 2023-24 ના પ્રથમ છ માસિક ગાળા દરમિયાન ત્રણેય સરકારી ઓઈલ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો રૂ. 57,091.89 કરોડ નોંધાયો હતો. આગલા વર્ષ સાથે તેની સરખામણી કરવામાં આવે તો તે 2022-23ના સંપૂર્ણ નાણાકીય વર્ષના કુલ ચોખ્ખા નફા રૂ. 1,137.89 કરતાં પણ 4,917 ટકા વધારે હતો. એચપીસીએલએ જાહેરાત કરી છે કે તે 27 ફેબ્રુઆરીએ પોતાના ત્રીજા ક્વાર્ટરના પરિણામો જાહેર કરશે. જ્યારે અન્ય બે કંપનીઓ આઈઓસી અને બીપીસીએલ પણ આ સમયની આસપાસ પોતાના પરિણામો જાહેર કરશે.


