વિદ્યા વિનય સંપન્ને બ્રાહ્મણે ગવિ હસ્તિનિ II
શુનિચૈવશ્વપાકે ચ પંડિતા: સમદર્શિન: II5/18II
અર્થ : જે જ્ઞાનીજન વિદ્યા અને વિનય આદિના ગુણોવાળા છે તે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચંડાળ વગેરે સર્વમાં સમાન દૃષ્ટિવાળા હોય છે.
જ્ઞાની કોને કહેવાય? જેને સારાનરસાનું પૂરેપુરુ ભાન હોય. સાત્ત્વિકતા શું છે? અધાર્મિકતા કેવી હોય? આ બધું જે સમજી શકતો હોય તે વ્યક્તિ જ્ઞાની છે તેમ કહી શકાય. જ્ઞાન વ્યક્તિમાં જુદી જુદી રીતે આવે છે. કોઈને વારસાગત મળે છે તો કોઇ પ્રયત્ન કરીને તે પામે છે. જ્ઞાની વ્યક્તિ વિદ્યાવાન અને વિવેકી હોય છે. જ્ઞાન અને વિદ્યા એ બે પણ ભિન્ન બાબતો છે. વિદ્યા એટલે કોઇ ચોક્કસ પ્રકારની સિદ્ધિ કે સફળતા મેળવવા માટેની વિધિ. તે તરફ જવાનો માર્ગ વિદ્યા બતાવે છે. જ્યારે જ્ઞાનમાં વિદ્યા ઉપરાંત બીજી ઘણીબધી બાબતનો સમાવેશ થાય છે. જે વ્યક્તિને જ્ઞાન પ્રાપ્ત થયું છે તેનામાં સમાનતાનો મોટો ગુણ હોય છે. તેને માટે સુખ-દુ:ખ, ધન-દોલત, કે ગરીબી આ બધું સરખું હોય છે. આ શ્લોકમાં સ્પષ્ટ રીતે પંડિત, બ્રાહ્મણ, ગાય, હાથી, કૂતરો અને ચંડાલનો ઉલ્લેખ કરીને કહેવાયું છે કે જ્ઞાની વ્યક્તિને આ બધાં એકસમાન લાગે છે. તે એમનામાં કશો જ ભેદભાવ જોતો નથી. પંડિત અને ચંડાળ બન્ને એકબીજાથી તદ્દન વિપરીત અવસ્થાનાં પાત્ર છે તે છતાં તેમનામાં કોઈ ભેદ ન જુએ તે વ્યક્તિ તો વિરલ કહેવાય. એ વ્યક્તિ જ્ઞાની હોવાને કારણે જાણતો જ હોય છે. દરેકનામાં રહેલો આત્મા તો એકસરખો જ છે. જે તફાવત છે એ તો તેણે ધારણ કરેલા દેહને કારણે જ છે. આવી વ્યક્તિઓ તેમનામાં રહેલી વિદ્યા અને વિવેકને કારણે સદાય વંદનીય હોય છે, સન્માનને પાત્ર બની રહે છે.
ઇહૈવ તૈર્જિત: સર્ગો યેષાં સામ્યે સ્થિતં મન: II
નિર્દોષં હિ સમં બ્રહ્ન તસ્માદબ્રહ્મણિ તે સ્થિત:II 5/19II
અર્થ : જેમનું મન સમત્વમાં સ્થિર રહ્યું છે તે સમદર્શી મનુષ્યે આ જન્મમાં જ સંસારને જીતી લીધો છે, કારણ કે બ્રહ્મદોષથી રહિત અને સમાન હોવાથી એ મનુષ્ય બ્રહ્મમાં સ્થિત રહે છે.
મન સમત્વમાં (સમાનતા) સ્થિર રહે છે એટલે જગતનાં બધાં જ તત્ત્વ કે જીવમાં જે સમાનતા જુએ છે તેણે તો આ જન્મમાં મનુષ્ય દેહ સ્વરૂપે જ સંસારને જીતી લીધો છે એમ માનવું. જેને આત્મજ્ઞાન થઇ જાય તેને બધુ સરખું જ લાગે છે. તે બધા જીવમાં કશો જ ભેદ કે તફાવત જોતો નથી. જો તમે કોઇનામાં કશો ભેદ પાડો જ નહીં કે જુઓ જ નહીં તો પછી તમે દોષ લાગે તેવું કોઇ કર્મ પણ કરી શકતા નથી અને જો તેવું કર્મ કદાચ તમારાથી થાય તો પણ તેનો કોઇ દોષ તમને લાગશે નહીં, કેમ કે તમે તો જે કર્મ કર્યું છે તે નિષ્કામ અને સમાનતાના ભાવથી જ કરેલું છે. તમે જો નિષ્કામ અને સમાનતાના ભાવથી જ્યારે કર્મ કરો ત્યારે તમારે એ અંગે કશી ચિંતા રાખવાની રહેશે નહીં. તમે કાયમને માટે ઈશ્વરમાં જ સ્થિર રહી શકશો. જગતની મોહમાયા કે એને સંબંધિત કોઈ પણ તત્ત્વ તમને સતાવશે નહીં કે નડતર રૂપ લાગશે નહીં. વ્યક્તિનામાં સૌને સમાન માની લેવાનો ગુણ વિકસે તો પછી એના મનમાં અન્ય કોઈ પ્રશ્ન જન્મતા જ નથી. તે દરેક ઘટનાને સહજ રીતે જ લેતો થઇ જાય છે. અહીં અર્જુનજીને આવો સમતાનો ભાવ ધારણ કરવાથી બ્રહ્મમાં સ્થિર થવાની વાત ભગવાને કરી છે.