- ઝાડા-ઉલટી, પેટના દુઃખાવાની ફરિયાદો સાથે કલોલની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ
- કલોલમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગથી 103 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી
- 46 જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી
એક પછી એક હોસ્પિટલ આવતા દર્દીઓથી સમગ્ર રાત ઓપીડી ધમધમી, 46 દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી : લોકોના ટોળેટોળા હોસ્પિટલ ઉમટયા
કલોલમાં લગ્ન પ્રસંગમાં જમણવાર બાદ ફૂડ પોઈઝનિંગથી 103 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી, પેટમાં દુઃખાવો થયો હતો. જેને પગલે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા આખી રાત સારવાર સહિતની કામગીરી કરવામાં આવી હતી. 103માંથી 57 જેટલા દર્દીઓને ઓપીડી બેઝ સારવાર આપવામાં આવી હતી. જ્યારે 46 જેટલા દર્દીઓને દાખલ કરવાની ફરજ પડી હતી.
ઘટનાની વિગતો પ્રમાણે કલોલમાં આવેલ અંજુમનની વાડીમાં મંગળવારે બપોરે લગ્ન પ્રસંગે જમણવાર યોજાયો હતો.બપોરના સમયે અઢી હજાર જેટલા લોકોએ ભોજન લીધુ હતું. જેમાં દૂધીનો હલવો, મટન, ચીકન ચીલ્લી જેવી ફૂડ આઈટમ આરોગી હતી. સાંજે સાતેક વાગ્યા પછી 12 જેટલા દર્દીઓ ઝાડા-ઉલ્ટી અને પેટના દુઃખાવાની ફરિયાદ સાથે સીએચસી કલોલ ખાતે પહોંચ્યા હતા. જેને પગલે કલોલ સીએચસી દ્વારા તાત્કાલિક આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એ.જે.વૈષ્ણવ જાણ કરી હતી. પરિસ્થિતિ પારખી ગયેલા અધિકારીએ જિલ્લા સર્વેલન્સ યુનિટને દોડતું કરતાં ટીમ કલોલ પહોંચી હતી. જેમાં તપાસ કરતાં સામે આવ્યું હતું કે, તમામ દર્દીઓએ અંજુમન વાડી ખાતે યોજાયેલા લગ્ન પ્રસંગે ભોજન લીધુ હતું. જમણવારમાં બે હજારથી વધુ લોકોએ ભોજન લીધુ હોવાનું સામે આવતા આરોગ્ય તંત્રમાં ચિંતા પેઠી હતી. જેને પગલે કલોલ સીએચસી ઉપરાંત ત્રણ જેટલા અર્બન હેલ્થ સેન્ટર પણ રાત્રે શરૂ કરવામાં આવ્યા હતા. નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ઉપરથી પાંચ જેટલા મેડિકલ ઓફીસરને રાત્રે બોલાવીને કલોલ સીએચસી અને ત્રણ અર્બન હેલ્થ સેન્ટર પર રાઉન્ડ ધ ક્લોક ઓપીડી શરૂ કરાવી દેવાઈ હતી. એટલું જ નહીં પરંતુ કેસો વધે તો દર્દીઓને તાત્કાલિક લઈ જવા માટે 5 જેટલી એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય રાખી દેવાઈ હતી. આખી રાત અને બુધવારે દિવસ દરમિયાન ઓપીડી ચાલુ રખાતા બુધવારે બપોરે 3 વાગ્યા સુધીમાં ઝાડા ઉલટીના 103 કેસ સામે આવ્યા હતા. કલોલના મટવાકુવા, કસ્બા વિસ્તાર, નાના મલેકવાસ, ઉજાવાવાસ, સૈયદવાસ, ચારણવાસ, કુરેશવાસ, અલીવાસ, ઉસ્તાદપુરા, પાનસર ચોકડી, અંજુમનવાડી, અહેમદી સોસાયટી, પુરાવાસ જેવા વિસ્તારોમાંથી દર્દીઓ નોંધાયા હતા. દાખલ કરાયેલા 46 દર્દીઓમાંથી બુધવાર સાંજ સુધીમાં 21ને રજા આપી દેવાઈ હતી. જ્યારે 25 જેટલા દર્દીઓ દાખલ હતા. જેમાં સીએચસી કલોલમાં 18, યુપીએચસી-2માં 6 તથા ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલમાં 1 દર્દી દાખલ હતો. ઘટનાને પગલે કલોલ પ્રાંત અધિકારી, મામલતદાર અને ધારાસભ્ય બકાજી ઠાકોર પણ કલોલ સિવિલ દોડી આવ્યા હતા. ઘટનાને પગલે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ઉપરાંત આ. જિ. આ. અધિકારી ગૌતમ નાયક, રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વિક્રમ સોલંકી સહિતના અધિકારીઓએ આખી રાત કામગીરી કરી હતી.
આરોગ્યની 23 ટીમે 7210 વસતીનું સર્વેલન્સ કર્યું : દુધીના હલવાના કારણે ફુડપોઇઝનિંગની આશંકા
ઝાડા-ઉલ્ટીના કેસોને પગલે આરોગ્ય તંત્રની 23 ટીમો દ્વારા 7210 જેટલી વસ્તીનું સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જેમાં 927 જેટલા ઓઆરએસ પેકેટનું વિતરણ કરવાની સાથે 38 આરસી ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જમણવાર બપોરે 12:30થી 2:30 વાગ્યા સુધી ચાલ્યો હતો. જેમાં છેલ્લે-છેલ્લે ભોજન લીધુ હોય તેવા લોકોને વધારે અસર થઈ હતી. તેમાં પણ દૂધીના હલવાને કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાની શંકા છે.
ફૂડ સેમ્પલ ન મળ્યું, પાણીના પાંચ જેટલા સેમ્પલ લેવાયા
બપોરના સમયે થયેલા જમણવારમાં સાંજે કેસો સામે આવ્યા હતા. જેમાં તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી ત્યા સુધીમાં જમણવારમાં વધેલા ખોરાકનો નિકાલ થઈ ગયો હતો. જેને પગલે તંત્ર દ્વારા વાડીમાં આવતા પાણી, પ્રસંગ માટે મંગાવાયેલા પાણીના જગ સહિત પાણીના 5 સેમ્પલ બેક્ટેરીયોલીજીકલ પરીક્ષણ માટે મોકલી આપ્યા હતા. તેમજ 7 જેટલા સ્ટુલ સેમ્પલ પરીક્ષણ માટે ગાંધીનગર મેડિકલ કોલેજ ખાતે મોકલી અપાયા છે. પ્રાથમિક તારણ મુજબ દૂધીનો હલવો કન્ટામીનેશન થવાના કારણે ઘટના બની હોવાની આશંકા છે.


