- અંબાજી દર્શન કરી રાજપીપળા જઈ રહેલા દંપતીની કારનો અકસ્માત
- કાર રોડ સાઈડની રેલિંગમાં ઘૂસી ગઈ
- પસાર થઈ રહેલા વાહનચાલકોએ રોકાઈ જઈ મહામુસીબતે કારને રેલિંગમાંથી કાઢી
રવિવારે બપોરે અંબાજી દર્શન કરીને કારમાં સવાર થઈને રાજપીપળા પરત ફરી રહેલા શિક્ષક અને તેમની પત્નિને ખેરોજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા દાણમહુઠી પાસેના સુકાઆંબા ગામથી આગળ આવેલા નાળીયા પાસે અચાનક રોડ વચ્ચે આવેલા કુતરુ આવી જતાં શિક્ષકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા રોડ સાઈડની રેલિંગમાં કાર ઘુસી જતાં ઘટનાસ્થળે જ પત્નિનું કરુણ મોત નીપજી ગયું હતું. ઘટનાના કારણે આસપાસના લોકો અને રોડ ઉપરથી પસાર થઈ રહેલા વાહનચાલકોએ રોકાઈ જઈને મહામુસીબતે કારને રેલિંગમાંથી કાઢી હતી. સમગ્ર ઘટના અંગે ખેરોજ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના પ્રતાપનગર ગામના અને ઉમરા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પરેશભાઈ શાંતિલાલ દોશી અને તેમના પત્નિ અમિતાબેન રવિવારે અંબાજી ખાતે દર્શને ગયા હતા. બપોરે દર્શન કરીને તેમની કાર (જીજે.રરપી.0810) લઈને પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન ખેરોજ ખેડબ્રહ્મા હાઈવે પર ખેરોજ નજીક દાણમહુડી પાસે આવેલ સુકાઆંબા ગામના એક નાળીયામાંથી અચાનક કુતરૂ રોડ પર આવી જતા પરેશભાઈએ તેને બચાવવા જતાં અચાનક સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને પુરઝડપે દોડી રહેલ કાર રોડની વચ્ચે આવેલ ધારદાર ડીવાઈડર સાથે કાર ટકરાતા ડીવાઈડર કારની આગળથી ઘુસી જઈને કારની અંદર અમીતાબેનના પગને ચીરીને તેઓને ગંભીર ઈજાઓ પહોંચાડીને કારની પાછળની તરફ નીકળી ગયુ હતુ. જે અંગે 108 એમ્બુલન્સવાન અને આસપાસમાં રહેતા લોકોને ખબર પડતાં તેઓ બચાવ કાર્ય માટે દોડી આવ્યા હતા. તેમજ અંબાજી તરફ આવતા જતા કેટલાક વાહન ચાલકોએ અકસ્માત નજરે જોતા તેઓ પોતાના વાહનો રોકીને બચાવ કાર્યમાં લાગી ગયા હતા અને ઈજાગ્રસ્ત પતિ પત્નિને મટોડા સીએચસી ખાતે 108 એમ્બુલન્સ વાન દ્વારા ખસેડતા તબીબે અમિતાબેનને મૃત જાહેર કર્યા હતા. સમગ્ર મામલે મૃતકના પતિ પરેશભાઈએ પોતાની વિરૂધ્ધ જ ખેરોજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.


