- હરણી બોટકાંડના ત્રણ આરોપીઓએ કોર્ટમાં જામીન અરજી કરી
- બોટકાંડના આરોપી નેહા, તેજલ તેમજ જતીન દોશીએ અરજી કરી
- નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓની જામન અરજી રદ કરી દીધી હતી
વડોદરા શહેરમાં હરણી બોટ દુર્ઘટનાએ રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 17 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે દિપેન શાહ અને ધર્મિલ શાહની બે દિવસ પહેલાં જ ધરપકડ કરવામાં આવી છે. હરણી બોટ દુર્ઘટનામાં નિર્દોશ 10 થી વધુ લોકોના ભોગ લેનાર બોટ દુર્ઘટનાના આરોપીઓને સકંજામાં લેવાની કવાયત ચાલી રહી છે.
નામદાર કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી રદ્દ કરી
આજે આ ઘટના અંગે મળતી માહિતી મુજબ, વડોદરાના હરણી બોટકાંડ મામલે આરોપી નેહા, તેજ અને જતીન દોશીએ કોર્ટમાં જામીન અરજી કરી હતી. બોટકાંડના આ ત્રણેય આરોપીઓએ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી. જેમાં નામદાર કોર્ટે આ ત્રણેય આરોપીઓએ વકીલ દ્વારા કરેલ અરજીની રજુઆતને ફગાવી દીધી છે. કોર્ટે ત્રણેય આરોપીઓની જામીન અરજી રદ્દ કરી દેતાં ત્રણેય આરોપીઓના જેલવાસને યથાવત રાખ્યો છે. હવે આ ત્રણેય આરોપીઓએ જેલવાસ ભોગવવો પડશે.
બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડ્યા
વડોદરા હરણી દુર્ઘટના કેસમાં FSLના રિપોર્ટમાં ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાના લીધે દુર્ઘટના થઈ હોવાનું સામે આવ્યું છે. ક્ષમતા કરતા વધુ બાળકો બેસાડવાથી બોટ પલટી હોવાનું પ્રાથમિક તારણ છે. ઘટનાની જવાબદારી નક્કી કરવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે પોલીસ દ્વારા નિવેદન તથા આરોપીઓની મિલકતના સરવેની કામગીરી યથાવત્ છે.
હરણી તળાવમાં શું બની ઘટના
વડોદરાના હરણી તળાવમાં બોટ પલટી જતાં 18 જાન્યુઆરીએ મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. હરણી તળાવમાં બોટ પલટી જતાં 14 ના મોત થયા હતા. જેમાં 12 માસુમ બાળકો અને 2 શિક્ષકોનો સમાવેશ થાય છે. ન્યુ સનરાઇઝ સ્કુલના વિદ્યાર્થીઓ પીકનીક માટે હરણી તળાવમાં આવ્યા હતા. જ્યાં બોટિંગ દરમિયાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતાં બોટનું બેલેન્સ બગડ્યું હતું. જેના પગલે બોટ પલટી જતાં બાળકો તળાવમાં ડૂબ્યા હતા.


