- મુખ્ય ચોકડીથી રોડની બંને સાઇડ દુકાનોની માપણી કરી માર્કિંગ કરાયું
- સતત ત્રીજા દિવસે પણ દબાણોનો સફાયો કરવાની કાર્યવાહી યથાવત્ રહી
- માર્કિંગ લગાવીને દબાણો દુર કરવા દબાણકર્તાઓને અલ્ટીમેટમ આપવામા આવ્યુ
સોજીત્રા નગરમા માર્ગ-મકાન વિભાગ, મામલતદાર અને નગરપાલિકાના વહીવટદાર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે સતત ત્રીજા દિવસે દબાણકર્તાઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં શહેરની મુખ્ય ચોકડીથી જુના બસ સ્ટેન્ડ સુધી માર્ગની બન્ને સાઇડે 12-12 મીટર રોડ પહોળો કરવા માપણી કરીને માર્કિંગ લગાવીને દબાણો દુર કરવા દબાણકર્તાઓને અલ્ટીમેટમ આપવામા આવ્યુ હતું. તદુપરાંત અનેક કાચા-પાકા દબાણો ઉપર બુલડોઝર ફેરવીને જમીનદોસ્ત કરવામા આવ્યા હતા.
આણંદ જિલ્લાના તાલુકા મથક સોજીત્રા-તારાપુર માર્ગને ફોરલેન કરવા માટે મુખ્ય ચોકડી-માર્ગની આસપાસ ખડકાયેલા કાચા-પાકા દબાણો ઉપર નગરપાલિકાના વહીવટદાર અને મામલતદાર ચાર્મીબેન રાવલ, ચીફ ઓફિસર સહિત ઉચ્ચ અધિકારીઓની ટીમ દ્વારા જેસીબી, ટ્રેકટરો, ટ્રોલી સાથે છેલ્લા બે દિવસથી માર્ગની આસપાસ આવેલી દુકાનો, શેડ, પતરાંની આડશો. છજા, દિવાલ-ઓટલા તેમજ પાલિકાના ભાજપના પુર્વ પ્રમુખ રજની પટેલના કોમર્શિયલ કોમ્પલેક્ષની દુકાનો, રહેણાંક મકાનો, ઝુંપડા સાથેના દબાણોને હટાવીને જમીનદોસ્ત કરી જગ્યા ખુલ્લી કરી છે. ત્યારે બુધવારે સવારથી પાલિકાના વહીવટદાર અને મામલતદાર ચાર્મીબેન રાવલ, ચીફ ઓફિસર નિલમ રોય, પીએએસઆઇ બી.એમ.માલી, વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સોજીત્રા મુખ્ય ચોકડીથી જના બસ સ્ટેન્ડ સુધી માર્ગની સાઇડની બન્ને બાજુ 12-12 મીટર રોડ પહોળો કરવા માટે સ્થળ-જગ્યાની માપણી કરવામા આવી હતી.
માપણી કર્યા બાદ સ્થળ ઉપર માર્કિંગ લગાવીને દબાણકર્તાઓને દબાણ દુર કરવા તાકીદ કરવામા આવી છે. જેમા આગામી સમયમાં દબાણો દુર કરવાની કામગીરી હાથ ધરાશે. તદુપરાંત મામલતદાર કચેરી સામેના દબાણકારો સહિત જુના બસ સ્ટેન્ડથી લીમડી ચોક અને જુના બસ સ્ટેન્ડથી નવાઘરાં સહિતના માર્ગ ઉપરના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દબાણેનો સફાયો કરી જગ્યા ખુલ્લી કરવામા આવશે.


