- રહેણાંક સોસાયટીના ચેરમેન, સેક્રેટરી નહીં, સરકાર ટ્રાન્સફર ફી નક્કી કરશે
- સામાન્ય નાગરીકોને ચેરમેન કે સેક્રેટરીઓની એક તરફી જોહુકમી સામે રાહત મળશે
- ગુરૂવારે આ સુધારા વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા હાથ ધરવામા આવનાર છે
ગુજરાતમાં ફ્લેટ સહિતના રહેણાંકની કો-ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, સર્વિસ સોસાયટીઓના હોદ્દેદારો મન ફાવે એટલી ટ્રાન્સફર ફી વસૂલી શકશે નહી. સરકાર વિધાનસભામાં વર્ષ 1961ના સહકારી મંડળીઓના અધિનિયમમાં મોટાપાયે ફેરફાર કરી રહી છે. કાયદામાં સુધારાથી સામાન્ય નાગરીકોને ચેરમેન કે સેક્રેટરીઓની એક તરફી જોહુકમી સામે રાહત મળશે.
હાલમાં હાઉસિંગ અને સર્વિસ સોસાયટીઓના નામે રાજ્યભરમાં અનેક સોસાયટીઓમાં મકાન કે પ્લોટની તબદિલીને તબક્કે મનફાવે એવી ટ્રાન્સફર ફી વસૂલી રહી છે. રાજ્યમાંથી આવી ફરિયાદો ઉઠતા સહકાર વિભાગે વર્ષ 1961થી વિદ્યામાન સહકારી કાયદામાં કલમ- 159માં ‘ક’નો નવો ઉમેરો કરવાનો નિર્ણય કર્યો છે. આ નવી કલમ 159-કથી હાઉસિંગ અને સર્વિસ સોસાયટીઓમાં કેટલી ટ્રાન્સફર ફી લઈ શકશે તે અંગેના નિયમો સરકાર ઘડશે. એ નિયમોની મર્યાદાથી વધારે ફી વસૂલવા કે આકારવાને તબક્કે સોસાયટીના ચેરમેન, સેક્રેટરી કે હોદ્દેદાર સામે ફોજદારી કાર્યવાહી થઈ શકે તેવી જોગવાઈ કરવામા આવી રહી છે. સંભવતઃ બજેટ સત્રના છેલ્લા દિવસે ગુરૂવારે આ સુધારા વિધેયક ઉપર ગૃહમાં ચર્ચા હાથ ધરવામા આવનાર છે. જેમાં સહકારી મંડળી- સોસાયટીના રજિસ્ટ્રેશન માટે 10ને બદલે આઠ પ્રયોજકો રાખવા, બેંકિંગ સહિતની મંડળીઓમાં ડુબત ફંડની માંડવાળ માટે રજિસ્ટ્રાર કે સરકાર નક્કી કરે તેવી ઓથોરિટીની મંજૂરી અનિવાર્ય કરવા, ફડચા મંડળીના દેવાની ચૂકવણીની પ્રાથમિકતા ફડચા અધિકારી નિયમોથી નક્કી કર્યા મુજબ કરે તેવી જોગવાઈ કરવાનો પ્રસ્તાવ છે. તદ્ઉપરાંત કલમ 114 હેઠળ હાલમા ફડચાની કામગીરી માટે પાંચ વર્ષ પછી મુદ્દત વધારા માટે બીજા પાંચ વર્ષની સત્તા હતી તેમાં હવે રાજ્ય સરકાર વધુ 10 વર્ષની મુદ્દત વધારી શકે તેવો પણ સુધારો સૂચવાયો છે.


