- અધિનિયમની મુદ્દત અગાઉ લંબાવવામાં આવી
- બંને પક્ષ વચ્ચે હવે સ્ટાન્ડર્ડ ભાડુ નક્કી થશે
- હોટલો અને નિવાસગૃહના દરો પર નિયંત્રણ લવાશે
છેલ્લા ઘણાં સમયથી મકાન માલિક અને ભાડૂઆત વચ્ચે બન્નેની સહમતિથી નિર્ધારીત શરતોના આધીન કરાર મુજબ મકાન ભાડે આપવામાં આવે અને મકાન ભાડે રાખવામાં આવે છે. આ અંગે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ વિધેયક-2024 રજૂ કર્યું હતું. જેને ગ્રુહમાં ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા વિસ્તૃત ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરાયું હતું. આ અધિનિયમની જોગવાઇ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડુ નક્કી કરવા અંગેની જોગવાઈ છે.
મકાન માલિક અને ભાડૂઆત બંનેને પોતાની શરતો પ્રમાણે અને પોતાની જરૂરિયાત મુજબ મકાન ભાડે આપી શકે અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરાવવા ઉપર નિયંત્રણ લાવી શકાય તે માટે હોટલો અને નિવાસગૃહના દરો પર નિયંત્રણ લાવવાના હેતુથી આ અધિનિયમ અમલમાં મૂકવામાં આવ્યો છે.
અધિનિયમની મુદ્દત અગાઉ લંબાવવામાં આવી હતી
છેલ્લે આ અધિનિયમ માં વર્ષ-2011 માં સુધારો લાવવામાં આવ્યો હતો. જેમાં અધિનિયમની મુદ્દત વર્ષ 1/4/2011 થી 31/3/2021 ના 10 વર્ષ સુધી લંબાવવામાં આવી હતી. મુંબઇ ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ અધિનિયમ, 1947 એ મર્યાદિત સમયગાળાની અવધિ ધરાવતો અધિનિયમ છે. જેની મુદ્દત 31/3/2021ના રોજ પૂર્ણ થતાં આ અધિનિયમ ની જોગવાઈઓ કલમ 3 ની પેટા કલમ(૩)ની જોગવાઈઓ અનુસાર ઈન-ઓપરેટીવ થયેલ હોવાથી આ અધિનિયમને પુન:ર્જિવીત કરવાનો રહે છે.
અધિનિયમ પુનઃર્જિવિત કરવામાં આવ્યો
સમયમર્યાદા પૂર્ણ થવાથી રદ્દ થયેલ અધિનિયમને માત્ર સુધારા અધિનિયમ તરીકેની કાર્યવાહી કરી કાયદાકીય રીતે પુન:ર્જિવીત કરી શકાતો નથી. આથી, આ અધિનિયમને પુનર્જિવીત કરવા માટે “ ગુજરાત ભાડા, હોટલ અને નિવાસગૃહ દર નિયંત્રણ (અમલ ચાલુ રાખવા અને સુધારા બાબત) વિધેયક-2024” તરીકે અમલમાં લાવવાનો રહે છે. જેથી પશ્ચાદવર્તી અસર 1/4/2021 થી 31/3/2026 (પાંચ વર્ષ)સુધી જોગવાઈઓ અમલી કરવામાં આવી હોવાનું ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.


