- ગાંધીનગરના કુડાસણમાં પ્રોટોન કન્સલ્ટન્સીમાં થયેલી રેડમાં ઘટસ્ફોટ
- FSLએ મોબાઈલ ફોનની તપાસ કરી ડુપ્લિકેટ માર્કશીટ શોધી કાઢતા ભાંડો ફૂટયો
- કેનેડા પહોંચતા તેનું એડમિશન લેટ પડવાના કારણે કેન્સલ થયાનું જાણવા મળ્યું
સીઆઈડી ક્રાઈમની ટીમોએ ડીસેમ્બર-2023માં ગાંધીનગર અને અમદાવાદ શહેરમાં સાગમટે દરોડા પાડીને 16 જેટલા વિઝા એજન્ટોની ઓફિસમાંથી શંકાસ્પદ દસ્તાવેજો કબ્જે લઈ તપાસ શરૂ કરી હતી. આ દરોડા દરમિયાન સીઆઈડી ક્રાઈમે ગાંધીનગરના કુડાસણ ખાતે આવેલી પ્રોટોન કન્સલ્ટન્સીમાંથી બે વ્યક્તિઓના ફોન કબ્જે લઈ તપાસ હાથ ધરી હતી. આ મોબાઈલ ફોનની તપાસ કરી એફએસએલએ કલોન ફાઈલ શોધી કાઢી તેમાંથી એક યુવકની માર્કશીટોની કોપી કાઢી હતી. આ માર્કશીટો અંગે સીઆઈડી ક્રાઈમે ઉચ્ચતર માધ્યમીક અને માધ્યમીક શિક્ષણ બોર્ડ ખાતે તપાસ કરાવતા રિપોર્ટ મળ્યો કે, આ માર્કશીટો સુસંગત નથી. આ જ યુવકની ગુજરાત યુનિવર્સિટીની માર્કશીટ અંગે ખરાઈ કરાવતા તે પણ સુસંગત ન હોવાની વિગતો મળી હતી. વિગતો આધારે તપાસ કરતા યુવકે કેનેડાના સ્ટુડન્ટ વિઝા માટે બે એજન્ટોને ફાઈલ આપી હતી. આ એજન્ટોએ 40 લાખ લઈને અસલ માર્કશીટ જેવી જ નકલી માર્કશીટ બનાવી તેમાં અમુક ફેરફાર કરીને વિઝા કરાવ્યાનો ઘટસ્ફોટ થયો હતો.બનાવને પગલે સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ઝોને માણસાના બે એજન્ટો સામે મંગળવારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સીઆઈડી ક્રાઈમના ડીટેક્ટવી પીએસઆઈ એસ.એચ.શર્માએ જાતે ફરિયાદી બનીને માણસા તાલુકાના પારબાતપુરા ગામે રહેતાં રાજેન્દ્ર નરોત્તમદાસ પટેલ અને માણસાના તાલુકાના બાપુપુરા ગામે રહેતાં પ્રતીક ગણેશભાઈ ચૌધરી સામે આઈપીસીની કલમ 467,468,471,4756,120 બી, 114 અને 465 મુજબ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. પોલીસે કુડાસણ ખાતે રાધે સ્કવેર બિલ્ડિંગમાં આવેલી પ્રોટોન કન્સલ્ટન્સીમાં રેડ કરી તેના માલિકો નિરવ વિક્રમ પટેલ અને અવિનાશ યોગેશ પટેલનાઓ ત્યાંથી વાંધાજનક દસ્તાવેજો તેમજ બંનેના મોબાઈલ જમા લઈ તપાસ હાથ ધરી હતી. આ ફોન તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવી હતી. એફએસએલએ મોબાઈલ ફોનમાં સ્ટોરેજ કલોન ફાઈલમાં પડેલી જુદી જૂદી યુનિવર્સિટીની માર્કશીટ તેમજ ઉચ્ચતર અને માધ્યમીક શિક્ષણ બોર્ડની માર્કશીટો શોધી કાઢી હતી. આ માર્કશીટોમાં પાર્થ ઘનશ્યામ પટેલની માર્કશીટો મળી આવી હતી. જે માર્કશીટોમાં ધો-10 અને ધો-12ની તેમજ બી.કોમના ત્રણ સેમેસ્ટરની માર્કશીટો સુસંગત ન હોવાની વિગતો મળી હતી. જે આધારે પાર્થ પટેલની ગાંધીનગર ખાતે આવેલી સર્મપણ કોલેજમાં તપાસ કરતા તેનું સરનામું મળ્યું હતું. પાર્થ પટેલ અંગે નીરવ પટેલ અને અવિનાશ પટેલની પૂછપરછ કરતા બંનેએ તેને ઓળખતા ન હોવાનું અને વિઝા માટે ફોન આવ્યાની વાત કરી હતી.
પાર્થ પટેલના ઘરે તપાસ કરી તેના પિતા ઘનશ્યામ પટેલ મળી આવ્યા હતા. તેઓએ તેમનો પુત્ર કેનેડા ઉચ્ચ અભ્યાસ માટે ગયાની વાત કરી હતી. પાર્થના વિઝા રાજેન્દ્ર ઉર્ફ રાજુ નરોત્તમદાસ પટેલ અને પ્રતિક ગણેશ ચૌધરીએ પાસે 40 લાખમાં કરાવ્યાનું જણાવ્યું હતું. પ્રતીક ચૌધરીની શ્રીજી ઓવરસીઝ પ્રથમ માળ, ઋુચી હોસ્પિટલની નીચે આવેલી ઓફિસમાંથી વિઝાની ફાઈલ તૈયાર કરાવી તેમજ એર ટિકીટ પણ આપી હતી. પાર્થ કેનેડા પહોંચતા તેનું એડમિશન લેટ પડવાના કારણે કેન્સલ થયાનું જાણવા મળ્યું હતું. નવા સત્રમાં રાજેન્દ્ર પટેલને વાત કરતા તેણે એડમિશન કરાવી આપ્યું હતું.


