વિરપુર જલારામ સિવિલ હોસ્પિટલમાં અધિકારીઓનું માત્ર ‘ફોટો સેશન’?
દર્દીઓ સુવિધા માટે પરેશાન: ડોક્ટરોના અપડાઉન, ડોકટરોના ક્વાર્ટર્સમાં અન્ય આઉટ સોર્સ કર્મચારીઓ ભાડુઆતો.!
કેસબારીએ સફાઈ કામદારો કેસ કાઢતા હોવાના જાગૃત નાગરિકોના ગંભીર આક્ષેપો…
અગ્ર ગુજરાત, વિરપુર
રાજકોટ જિલ્લા પંચાયતના ઉપાધ્યક્ષ સામંત બાંભવા તેમજ જિલ્લા આરોગ્ય અધિકારીઓ (QMO ડૉ. પી.કે. સિંહ અને THO) સહિતની તબીબોની ટીમ દ્વારા તાજેતરમાં વિરપુર સામુહિક આરોગ્ય કેન્દ્ર (સિવિલ હોસ્પિટલ)ની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. તંત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની સેવા, OPD-IPD વ્યવસ્થા, ઈમરજન્સી વિભાગ, સ્વચ્છતા અને દવાનો સ્ટોક વગેરેની વિગતવાર સમીક્ષા કરાઈ હતી. પરંતુ સ્થાનિક જાગૃત નાગરિકોના જણાવ્યા અનુસાર, આ મુલાકાત માત્ર એક ‘ફોટો સેશન’ સાબિત થઈ છે અને હોસ્પિટલની વાસ્તવિક સ્થિતિ સદંતર વિપરીત છે.
મુલાકાત સમયે જ હોસ્પિટલના કેટલાક સ્થાનિક ડોક્ટરો અને અધિકારીઓ ગેરહાજર જણાતા તંત્રની પોલ ખુલ્લી પડી ગઈ હતી. હોસ્પિટલના ગ્રાઉન્ડ રિપોર્ટ પર નજર કરીએ તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે
વિરપુર સિવિલ હોસ્પિટલમાં લાંબા સમયથી કોઈ કાયમી સર્જન કે અન્ય નિષ્ણાત ડોક્ટરોની નિમણૂક જ કરવામાં આવી નથી, મોટાભાગના નિષ્ણાંતો ડેપ્યુટશનમાં ફરજ બજાવે છે તેમજ રાત્રીના સમયે ડોક્ટર હાજર રહેતા નથી જેના કારણે દર્દીઓને નાની-મોટી બીમારીઓ માટે પણ મજબુર બનીને અન્ય ખાનગી હોસ્પિટલ તરફ દોડવું પડે છે.
સરકારી ક્વાર્ટર્સમાં ભાડુઆતોનો કબ્જો, ડોક્ટરોનું અપડાઉન.! સરકારી નિયમ મુજબ હોસ્પિટલના સ્ટાફે ફરજની નજીક ક્વાર્ટર્સમાં રહેવાનું હોય છે. પરંતુ અહીંના ડોક્ટરો અને કર્મચારીઓ પોતાના વતનથી અપડાઉન કરે છે, જ્યારે સરકારી ક્વાર્ટર્સ અન્ય આઉટ સોસ કર્મચારીઓને ભાડે આપી દેવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો ઉઠ્યા છે.
હોસ્પિટલનો સ્ટાફ સમયસર હાજર રહેતો નથી. દર્દીઓ માટે સમયસર કેસબારી ખુલતી નથી અને કેટલીકવાર તો સાફ-સફાઈ કામદારો દર્દીઓના કેસ કાઢતા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.
હોસ્પિટલમાં ફરજ બજાવતા દાંતના ડોક્ટર (ડેન્ટિસ્ટ) પોતાની મરજી મુજબના સમયે આવે છે અને દર્દીઓ સાથે મનમાની ચલાવતા હોવાની વ્યાપક ફરિયાદો છે.
એક સમય હતો જ્યારે વિરપુર સિવિલ હોસ્પિટલમાં કર્મનિષ્ઠ ડોકટરો ફરજ બજાવતા ત્યારે આજુબાજુના ૨૦ થી ૩૦ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓની પ્રસૂતિ (ડિલિવરી) સફળતાપૂર્વક કરાવવામાં આવતી હતી. તેની સામે આજે સ્થિતિ એટલી કથળી ગઈ છે કે સગર્ભા મહિલાઓને સીધી જૂનાગઢ કે રાજકોટ રીફર કરી દેવાય છે. આટલું જ નહીં, સગર્ભા મહિલાઓને જરૂરી ‘મમતા કાર્ડ’ કઢાવવા માટે પણ વિરપુરથી ૧૫ કિલોમીટર દૂર મેવાસા ગામે ધક્કા ખાવા પડી રહ્યા છે. તેમજ મધ્યમ વર્ગના દર્દીઓ અને ગરીબ દર્દીઓ માટે આશીર્વાદ સમાન ગણાતા ‘આયુષ્માન કાર્ડ’ કઢાવવાની પ્રક્રિયામાં પણ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કાર્ડ કઢાવવા માટે આવતા ગરીબ દર્દીઓને મહિનાઓ સુધી રાહ જોઇને ધક્કા ખાવા પડે છે.
જિલ્લા પંચાયત ઉપાધ્યક્ષ અને આરોગ્ય અધિકારીઓની આ ટીમ માત્ર ફોટો પડાવવા માટે જ આવી હતી કે પછી ખરેખર વિરપુરની ગરીબ જનતાને આ હાલાકીમાંથી મુક્તિ મળશે? શું આ આકસ્મિક મુલાકાત બાદ હોસ્પિટલની સુવિધાઓ સુધરશે કે પછી દર્દીઓની સ્થિતિ ‘જૈસે થે’ જ રહેશે, તે જોવું રહ્યુ.!


