- અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્ધારા વીરાંજલિ સમારોહ
- કેબિનેટ મંત્રી બલવંતસિંહ સહિત સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા
- ઈતિહાસની ભવ્યતા ભૂલાઈ ના જાય તેવું કામ ક્ષત્રિય સમાજે કર્યું
ઐતિહાસિક નગર પાટણના 1279મા સ્થાપના દિનની રવિવારે પાટણ શહેરમાં જાજરમાન ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે અખિલ ગુજરાત યુવા સંઘ પાટણ જિલ્લા દ્ધારા શહેરની એમ. એન. હાઈસ્કૂલના મેદાન ખાતે 24મો વિરાંજલી સમારોહ તથા સામાજિક ચિંતન સમારોહ યોજવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવો દ્ધારા પૂર્વ રાજવીઓને શ્રાદ્ધા સુમન અર્પણ કરી દિપ પ્રાગટય સાથે સમારોહનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રાજ્યસભાના સાંસદ અને વાંકાનેર સ્ટેજ રાજવી કેશરી દેવસિંહજીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે દુનિયાના ત્રણ મોટા ધર્મોમાં સનાતન ધર્મ સૌથી મોટો ધર્મ છે. આ ધર્મને ક્ષત્રિય સમાજના બલિદાનોએ જીવંત રાખ્યો છે. ચાર સ્ટેટમાં કનોજ, ઉદેપુર, દિલ્લી અને ગુજરાત છે. જેમાં ગુજરાતના પાટણનો ઈતિહાઈ કદાપી ભૂલાય તેમ નથી. પાટણમાં રાજપૂત સમાજ દ્ધારા આયોજીત વિરાંજલી સમારોહ પૂર્ણ થયા બાદ શહેરના જૂના મહાકાળી મંદિર ખાતે મહાકાળી માતાજીની આરતી કર્યા બાદ શહેરમાં સ્થાપના દિવસની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રાના બાદમાં જાહેર કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. આ પ્રસંગે રાજ્ય સરકારના કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત, સાંસદ ભરતસિંહ ડાભી, મહંત શિવાનંદ બાપુ, ગજેન્દ્રસિંહ ચૌહાણ, પૃથ્વીરાજસિંહ વાઘેલા, જયેન્દ્રસિંહ જાડેજા, દિપકસિંહ ઝાલા, વિસુભા ઝાલા, મહિપતસિંહ જાડેજા, કે.એન. સોલંકી સહિત ધારાસભ્ય કિરીટ પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ, પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર સહિત નગરસેવકો અને રાજકીય અને સામાજીક અગ્રણીઓએ મોટીસંખ્યામાં ઉપસ્થિત રહીને પાટણ સ્થાપના દિનની ઉજવણીમાં જોડાયા હતા.
ઈતિહાસની ભવ્યતા ભૂલાઈ ના જાય તેવું કામ ક્ષત્રિય સમાજે કર્યું
આ પ્રસંગે ઉપસ્થિત કેબીનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ઈતિહાસની ભવ્યતા ભૂલાઈ ના જાય તેવું કામ ક્ષત્રિય સમાજે કર્યું છે. ભગવાને પણ ક્ષત્રિય સમાજમાં જન્મ લેવાનું મન થાય તેવા આ સમાજના જીન્સની તાકાતનું વર્ણન કરી એકવીસમી સદીએ સમયની સદી રહેવાની છે ત્યારે એક એક મિનિટ કિંમતી હોવાથી તેનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ. પહેલાંના સમયમાં માથાં કાપીને રાજ થતું હતું પણ હવે માથાં ગણીને રાજ થાય છે. ક્ષત્રિય સમાજના ઈતિહાસને ટકાવી રાખવાની કટીબદ્ધતા રાખવાની સલાહ સાથે સ્થાપના દિનની સૌને શુભ્ચ્છાઓ પાઠવી હતી.
રાજપૂતોના પરંપરાગત તલવાર રાસ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ ગયા
અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દ્ધારા આયોજીત વિરાંજલી કાર્યક્રમમાં પાટણ અને રાજપુત કન્યા છાત્રાલય વઢવાણ, સુરેન્દ્રનગર રાજપૂત સમાજની દિકરીબાઓ દ્ધારા પરંપરાગત તલવાર રાસના કરતબ રજૂ કરતા હાજર સૌકોઈ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે ક્ષત્રિય સમાજના દાતા પરિવારોને તેમજ વિરાંજલી કાર્યક્રમની શરૂઆત કરનાર ક્ષત્રિય સમાજના વડીલો, નવા હોદ્દેદારોનું ઉપસ્થિત મહાનુભાવો અને રાજવીઓ દ્ધારા સન્માન કરવામાં આવ્યું હતું.


