દર વર્ષની પરંપરા મુજબ દેવાધિદેવ સોમનાથ મહાદેવ મંદિરે તા.8ના રોજ મહાશિવરાત્રિની અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી ભવ્ય ઉજવણી કરવાનું આયોજન કરાયેલ છે. મંદિર પરિસર સતત થનાર વેદોક્ત મંત્રોચ્ચાર,અષ્ટાધ્યાયી, રૂદ્રાભિષેક સહિતના કાર્યક્રમોથી ભકિતભાવથી ગૂંજતું રહેશે. તો વર્ષમાં એક જ વખત થતી એવી ચાર પ્રહરની મહાપૂજા-આરતીઓ મહાશિવરાત્રીની રાત્રી દરમ્યાન થશે.
દેશના બાર જયોતિર્લિંગ પૈકી અગ્રેસર ગણાતા સોમનાથ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ધામધૂમથી ઉજવવાનું આયોજન કરાયેલું છે. આ તકે વહેલી સવારે ચાર વાગ્યે સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા બાદ છેક બીજા દિવસે રાત્રીના દસ વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આમ 42 કલાક સુધી મંદિર ખુલ્લુ રહેશે. તો શિવભક્તોને કોઈ અગવડ ન રહે તેને ધ્યાને લઇ તમામ તૈયારીઓ કરવામાં આવી છે. શિવરાત્રિના દિવસે સવારે ભગવાન સોમનાથ મહાદેવ નગરચર્યાએ પાલખીયાત્રા રૂપે મંદિર પરીસરમાં ફરશે. ભગવાન સોમનાથ શિવાલયના ધ્વજા દંડ પર નૂતન ધ્વજારોહણ કરાશે. મહાશિવરાત્રિના દિવસે અને રાત્રે ભૂદેવો વેદોક્ત અને પુરાણોક્ત મંત્રોચ્ચારથી વાતાવરણ દિવ્ય બનાવી દેશે. દિવસ દરમ્યાન મહાદેવને રંગબેરંગી પુષ્પો, ભસ્મ, વસ્ત્રોનો અલોકીક શૃંગારથી શોભાયમાન કરાશે. શિવરાત્રીની રાત્રીના ચાર પ્રહરની મહાપૂજા આરતી થશે. જેમાં પ્રથમ સાડા નવ, સાડા અગીયાર, રાત્રીના દોઢ અને સવારે સાડા ચાર વાગ્યે એમ કુલ ચાર પ્રહરની આરતીઓ થશે. આ પર્વને લઈ મંદિરને રંગબેરંગી પુષ્પો અને લાઈટોથી સુશોભિત કરાશે.
મહાશિવરાત્રિ નિમિતે સોમનાથ આવતા હજારો ભાવિકો માટે પરીસર નજીક ભંડારા પ્રસાદીનું આયોજન ટ્રસ્ટ અને જુદી જુદી સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે. તો શિવરાત્રીએ મોટી સંખ્યામાં સોમનાથ આવનાર ભાવિકોને ધ્યાને લઈ મંદિર બહાર અદ્યતન ચેકિંગ પોસ્ટ ઉભા કરી જૂના પથિકાશ્રમ મેદાનમાંથી એન્ટ્રી માટે ચેકીંગ પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. ત્યાં ચેકીંગ બાદ મંદિરમાં પ્રવેશી શકશે. તો એસટી ડેપો મેનેજરના જણાવ્યા મુજબ શિવરાત્રિ પહેલા જ જુનાગઢ સોમનાથ વચ્ચે દસ એક્સટ્રા બસ દોડાવવાની ચાલુ કરી દીધી છે. અને વધુ જરૂર જણાશે તો વધુ બસો દોડાવશુ.
સોમનાથ મંદિર આસપાસ જવા માટે રસ્તામાં પણ ફેરફાર કરવામાં આવ્યાછે. વાહન પાર્કિંગ નજીક જયાં જૂનું બસસ્ટેશન હતુ ત્યાં સંપૂર્ણ નવીનીકરણ બાંધકામ કરી ઢોળાવ કરીને એન્ટ્રી ગેટ બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામમાં વાહન પગપાળા જઈ શકેએ માટે 120 મીટર લાંબો અને નવ મીટર પહોળો ડામર રોડ પાર્કિંગથી મંદિર જવાના રસ્તાની બાજુમાં તાબડતોબ નવો બનાવવામાં આવ્યો છે. સોમનાથ આસપાસનો વિસ્તાર ધૂળ મૂકત રહે એ માટે સિમેન્ટ બ્લોક બીછાવવા આવ્યા છે. અહી તા.7 અને તા.8 ના રોજ રાત્રીના પ્રખ્યાત લોક કલાકાર ગીતાબેન રબારી અને જીજ્ઞેશ કવિરાજ લોકસાહિત્ય , ભજન સહિત સાહિત્ય રજુ કરી શિવ આરાધના કરશે.


