રાજ્યમાં ચાલતા ખેડૂત આંદોલન અંતર્ગત ગુજરાત સરકારનો નિર્ણય
વિજલાઈનના જમીન વળતરમાં ખેડૂતોને બમણા ભાવ ચૂકવાશે
હવેથી ખેડૂતોને ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વળતર અપાશે
જમીનના વાસ્તવીક બજાર કિંમત તટસ્થ નક્કી કરવા સરકાર માર્કેટ રેટ કમિટીની રચના કરશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્ય સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલતી વીજ ટ્રાન્સમિશન ટાવર અને હાઈટેન્શન લાઈનના વળતરની માંગણીને ધ્યાનમાં રાખીને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ખેડૂતોના ખેતરમાંથી પસાર થતી વીજ લાઇન માટે અત્યાર સુધી ખેતરમાં વીજ પોલ કે લાઇન નાખવા માટે ખેડૂતોને જંત્રીના બમણા દર (200%) લેખે વળતર ચૂકવવામાં આવતું હતું. આ મામલે ખેડૂતોમાં અસંતોષ વધતો જોઈને રાજ્ય સરકારે એક મોટો સુધારો કર્યો છે. હવે જંત્રી આધારિત નહીં પરંતુ જમીનના માર્કેટ રેટના બમણા ભાવ ચૂકવવામાં આવશે.
આ ઉપરાંત અત્યાર સુધી ખેતરમાં નંખાતા વીજ ટાવરના બેઝ (પાયા) વિસ્તારના વાસ્તવિક માપ પ્રમાણે જ વળતર અપાતું હતું. હવેથી ખેડૂતોને ટાવરના બેઝ વિસ્તારની દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરીને વધુ વળતર ચૂકવવામાં આવશે. ઉદાહરણ તરીકે; 765 કે.વી. લાઇનમાં અગાઉ 625 ચોરસ મીટર લેખે વળતર અપાતું હતું, જેમાં હવેથી દરેક બાજુએ વધારાના એક મીટરની ગણતરી કરી તે મુજબ વધારીને 729 ચોરસ મીટર લેખે ચૂકવવામાં આવશે.
અગાઉ જમીનમાલિકોને વળતર અંગે, ફાઉન્ડેશન તબક્કે 40%, ઇરેક્શન વખતે(બીમ કોલમ કે ગર્ડર્સ ગોઠવવાની પ્રક્રિયા) 40% તથા વાયર લગાડ્યા બાદ 20% રકમ મુજબની ચુકવણી થતી હતી, તેના બદલે જમીનમાલિકોને એક સાથે અને અગાઉથી વળતર ચૂકવવામાં આવશે.
ખેડૂતોની જમીનની વાસ્તવિક બજાર કિંમત તટસ્થ અને પારદર્શક રીતે નક્કી થઈ શકે તે માટે રાજ્ય સરકાર દ્વારા માર્કેટ રેટ કમિટીની રચના કરવામાં આવશે. ખાસ વાત એ છે કે આ સમિતિમાં અસરગ્રસ્ત ખેડૂતોના પ્રતિનિધિ અને ખેડુતોના ઓથોરાઇઝ્ડ માર્કેટ વેલ્યુઅરને પણ સ્થાન આપવામાં આવશે, જેથી ખેડૂતોને અન્યાય ન થાય. માર્કેટ રેટ નિર્ધારણ કરવાની સમિતિમાં કલેક્ટર, જમીન માલિકોના પ્રતિનિધિ અને ટ્રાન્સમિશન સર્વિસ પ્રોવાઈડરના પ્રતિનિધિ પણ હશે.
વીજ લાઇનના રાઇટ ઓફ વે(ROW) કોરિડોર માટે માર્કેટ રેટ કમિટી દ્વારા નિર્ધારિત થયેલી બજાર કિંમતના આધારે વિસ્તાર મુજબ વળતર અપાશે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં બજાર કિંમતના 30%, નગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 45% અને મહાનગરપાલિકા વિસ્તારમાં બજાર કિંમતના 60% મુજબ વળતર આપવામાં આવશે.
રાજ્ય સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, જે ખેડૂતોએ અગાઉ જૂના ભાવ પ્રમાણે વળતર મેળવી લીધું હોય, પરંતુ વીજ લાઇનનું કામ હજી પ્રગતિમાં (ચાલુ) હોય, તેવા તમામ ખેડૂતોને આ નીતિનો લાભ મળવાપાત્ર રહેશે.
વધુ લાભદાયી નિર્ણયનો દાવો
જીતુ વાઘાણીએ જણાવ્યું કે ભારત સરકારની ગાઈડલાઈન અને અન્ય રાજ્યોની નીતિઓનો અભ્યાસ કર્યા બાદ ખેડૂતોના હિતમાં સૌથી વધુ લાભદાયી નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય અને ન્યાયસંગત વળતર આપવાનો છે.


