પરિણીતાને જાતિ પ્રત્યે અપમાનિત કરી ત્રાસ આપતા સાસરીયા વિરૂધ્ધ ફરિયાદ
ઉપલેટાની પરિણીતાએ કોડીનાર રહેતા સાસરીયા વારંવાર અપમાનિત કરતા હોવાની રાવ
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉપલેટામાં રહેતી પરિણીતાએ કોડીનાર રહેતાં પતિ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ જ્ઞાતિ બાબતે ભેદભાવ રાખી ત્રાસ આપી મારમારી ઘરમાંથી કાઢી મુક્તા ફરિયાદ નોંધાવી હતી.
બનાવ અંગે ઉપલેટામાં મરિયમ મસ્જિદ પાસે સ્મશાન રોડ પર રહેતી પરિણીતા સાઇદાબેન (ઉ.વ.35) એ નોંધાવેલ ફરીયાદમાં પતિ હનીફબાપુ કાદરી, સસરા હનીફબાપુ, સાસુ ઝેનબમા, નણંદ સનામા અને આઈશામા વિરુદ્ધ માનસીક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરીયાદ નોંધાવી હતી.
વધુમાં પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે છેલ્લા નવ માસથી તેની મોટી બહેન નઝમાબેન પઠાણ સાથે રહે છે. 10 વર્ષ પહેલા તે કોડીનાર ખાતે અબ્દુલકાદિરના સંપર્કમાં આવી અને બંને વચ્ચે ફોનમાં વાતચીત થતી હતી. ત્યારબાદ અબ્દુલકાદીરના ઘરના સભ્યો લગ્ન માટે રાજી ન થતાં બાદમાં આગેવાનો દ્વારા સમજૂતી થતા તા. 22/1/ 2025 ના મુસ્લિમ રીત રિવાજ મુજબ કુટુંબીજનોની હાજરીમાં કોડીનાર ખાતે અબ્દુલકાદિર સાથે પરિણીતાએ લગ્ન કર્યા હતા.
લગ્નના ચાર-પાંચ દિવસ ઘરસંસાર સારી રીતે ચાલ્યા બાદ પતિ અબ્દુલકાદિર, સાસુ ઝેનબમા, સસરા હનીફબાપુ તથા નણંદ સનામા અને આઈશામાએ કહ્યું હતું કે, અમે કાદરી સૈયદ જાતિના ઉચ્ચ જાતિના છીએ અને તું કુરેશી સિપાઈ જાતિની છો તેમ કહી કહ્યું હતું કે, હવે તારે તારા માવતર સાથે સંબંધ રાખવાનો થતો નથી તેમ કહી પરિણીતાને આઠ મહિના સુધી માવતરે જવા દીધી નહીં તેમજ પરિણીતા સાથે જમવા બાબતે પણ ભેદભાવ રાખતા હતા. ઘરની બહાર પણ જવા દેતા ન હતા. પતિને બહાર લઈ જવાનું કહે તો બંને નણંદો અને સાસુ કહેતા હતા કે અમારે ઘરવાળીને બહાર ફરવા લઈ જવાનો રિવાજ નથી તેમ કહી ગાળો આપતા હતા.
ગઈ તા. 18-9-2025 ના પરિણીતાના મોબાઇલમાં તેની બહેન નઝમાબેને રિચાર્જ કરી આપ્યું હોય જેની જાણ બને નણંદોને થતા સાસુ-સસરા તથા પતિને જાણ કરી હતી. બાદમાં આ તમામ લોકોએ ઝઘડો કરી ગાળો આપી પરિણીતા સાથે મારકૂટ કરી તેને ઘરથી બહાર કાઢી મૂકી હતી. જેથી તેણી ઉપલેટા બહેનના ઘરે જતી રહી હતી અને ત્યારબાદ તેણે આ અંગે પતિ સહિતના સાસરીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી હતી.


