- CAA પર વિપક્ષની ટિપ્પણી પર ભાજપનો વળતો જવાબ
- રવિશંકર પ્રસાદે કહ્યું જુઠુ બોલવાનું બંધ કરો
- કોઇની નોકરી નહી જાય- રવિશંકર પ્રસાદ
બીજેપીના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે વિપક્ષી નેતાઓને ઠપકો આપ્યો છે. જેઓ CAAને લઈને સતત નિવેદન આપી રહ્યા છે. તેમણે કહ્યું છે કે વિપક્ષ CAAને લઈને સતત ભ્રમણા ફેલાવી રહ્યો છે. વિપક્ષે જુઠ્ઠાણાનું રાજકારણ બંધ કરવું જોઈએ. CAAને કારણે કોઈની નાગરિકતા નહીં જાય, કોઈની નોકરી પર કોઈ ખતરો નથી.
કેજરીવાલ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે- રવિશંકર પ્રસાદ
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલ દ્વારા સીએએને લઇને એક નિવેદન આપવામાં આવ્યું હતું જેમાં રોજગારી છીનવી લેવાનો ઉલ્લેખ કર્યો હતો. તે મામલે રવિશંકર પ્રસાદે વળતો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે આ શું તર્ક છે? ભારતમાં આવેલા લોકો પર આસ્થાના નામે અત્યાચાર ગુજારવામાં આવે છે. શું તેમને કાયદેસર રીતે નાગરિકતા આપવાનો અધિકાર નથી? કેજરીવાલ વોટ બેંકની રાજનીતિ કરી રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે CAAને લઈને સ્પષ્ટ કર્યું કે કોઈની નાગરિકતા છીનવાઈ નહીં. અર્થહીન પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ લોકો રોહિંગ્યાના પક્ષમાં બોલે છે. આ કમનસીબી છે.
અસત્ય-ગેરસમજ ફેલાવવાનું બંધ કરો- રવિશંકર પ્રસાદ
તેમણે વધુમાં જણાવ્યું કે આ લોકો CAAના નામે સાંપ્રદાયિક તણાવ ફેલાવી રહ્યા છે તેઓને જુઠ્ઠાણાનો વેપાર બંધ કરી દે. સાથે જ મમતા બેનર્જી અને કેજરીવાલને ટાંકીને કહ્યું કે તેઓ બૂમો પાડી રહ્યા છે અને દક્ષિણ ભારતમાં તો આમ પણ ડાબેરીઓ જ છે. આ તમામનું રાજકીય મેદાન સરકી રહ્યું છે, તેથી જ તેઓ આવા નિવેદનો કરી રહ્યા છે. અસત્ય અને ગેરસમજ ફેલાવવાનું બંધ કરો. સરકાર વારંવાર સ્પષ્ટતા કરી રહી છે, તો પછી આ ગેરસમજ કેમ ફેલાવવામાં આવી રહી છે? મમતા બેનર્જી એવા નિવેદનો આપી રહ્યા છે જેનો કોઈ આધાર નથી કારણ કે અસદુદ્દીન ઓવૈસીનું મેદાન સરકી રહ્યું છે.


