- જસ્ટિસ વિનીત માથુર અને દિનેશ મહેતાની ડિવિઝન બેંચે હોસ્પિટલની વિગતો માંગી છે
- આસારામે પુણેની માધવબાગ હોસ્પિટલમાં આયુર્વેદ સારવારની પરવાનગી માટે અરજી કરી હતી
- આ મામલામાં આગામી સુનાવણી 20 માર્ચે થશે
રાજસ્થાનના જોધપુરની જેલમાં બંધ આસારામે કોર્ટ પાસે આયુર્વેદ સારવારની માંગણી કરી હતી. રાજસ્થાન હાઈકોર્ટે આ અંગે હોસ્પિટલનો રિપોર્ટ માંગ્યો છે. વાસ્તવમાં આસારામે મહારાષ્ટ્રના પુણેની માધવબાગ હોસ્પિટલમાં આયુર્વેદ સારવારની પરવાનગી માટે અરજી કરી હતી. એજન્સી અનુસાર, આસારામની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ વિનીત માથુર અને દિનેશ મહેતાની ડિવિઝન બેંચે હોસ્પિટલની વિગતો માંગી છે, તેમણે પૂછ્યું છે કે હોસ્પિટલમાં શું સારવાર થશે અને કેટલા દિવસ લાગશે. આ મામલામાં આગામી સુનાવણી 20 માર્ચે થશે. આ પહેલા આસારામના વકીલને કોર્ટમાં હોસ્પિટલની વિગતો આપવા માટે કહેવામાં આવ્યું છે.
આ સમગ્ર કેસની વિગતો કોર્ટને આપો
હાઈકોર્ટે સરકારી વકીલને જોધપુર અને મુંબઈના પોલીસ કમિશનર પાસેથી આસારામની પુણેની મુલાકાત અને ત્યાં પોલીસ જવાનોની તૈનાતી વિશે પૂછપરછ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સમગ્ર કેસની વિગતો કોર્ટને આપો. જોધપુર કોર્ટે આસારામને દુષ્કર્મના કેસમાં દોષિત જાહેર કર્યા હતા. વર્ષ 2018માં આસારામને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી.
ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના દોષિત આસારામને આપી રાહત, અરજી પર થશે સુનાવણી
ગુજરાત હાઈકોર્ટે દુષ્કર્મના દોષિત આસારામને રાહત આપી છે. 2013ના દુષ્કર્મના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા આસારામની અપીલની સુનાવણી તેમની વધતી ઉંમરને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. તે લગભગ એક દાયકાથી જેલમાં છે. કોર્ટે તેમની અપીલ પર 4 એપ્રિલથી સુનાવણી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા આસારામને હાલમાં જ સુપ્રીમ કોર્ટ તરફથી ઝાટકો લાગ્યો હતો. સુપ્રીમ કોર્ટે આસારામની બગડતી તબિયતને કારણે સજા સ્થગિત કરવાની અરજી પર વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો.
20 માર્ચે આગામી સુનાવણી પહેલાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું
કોર્ટે આસારામના વકીલને હોસ્પિટલમાંથી વિગતો મેળવવા અને 20 માર્ચે આગામી સુનાવણી પહેલાં કોર્ટમાં રજૂ કરવા જણાવ્યું છે. હાઈકોર્ટે સરકારી વકીલને જોધપુર અને મુંબઈના પોલીસ કમિશનરો પાસેથી આસારામને પુણે લઈ જવાની જરૂરિયાત અને તેના રોકાણ માટે પોલીસ કર્મચારીઓની જરૂરિયાત વિશે માહિતી મેળવવા અને કોર્ટને જાણ કરવા પણ નિર્દેશ આપ્યો હતો. આસારામને જોધપુરની અદાલતે બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યો હતો અને 2018માં તેને આજીવન કેદની સજા ફટકારી હતી.


