અંકિત જેસર ત્રણ વર્ષથી સાયબર સુરક્ષા અંગે જનજાગૃતિ માટે કાર્યરત
અગ્ર ગુજરાત, રાજકોટ
માત્ર 15 વર્ષની ઉંમરે સાયબર સુરક્ષા, એથિકલ હેકિંગ અને સાયબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન ક્ષેત્રે રસ જાગ્યા બાદ તેમણે સ્વઅભ્યાસ દ્વારા આ ક્ષેત્રમાં જ્ઞાન પ્રાપ્ત કર્યું. વર્ષ 2023માં 17 વર્ષની ઉંમરે તેમણે સાયબર જાગૃતિ સેમિનારોની શરૂઆત કરી. છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન તેમણે ગુજરાત સહિત બે રાજ્યોના 14થી વધુ શહેરો અને ગામોમાં 500થી વધુ સાયબર જાગૃતિ સેમિનારો યોજીને અંદાજે 1.5 લાખથી વધુ વિદ્યાર્થીઓ, યુવાનો, સરકારી કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને ડિજિટલ સુરક્ષા અંગે માર્ગદર્શન આપ્યું છે.
આ સેમિનારો દરમિયાન વર્તમાન સમયમાં થતા વિવિધ સાયબર ગુનાઓ, જેમ કે ઓનલાઈન ફ્રોડ, ડિજિટલ અરેસ્ટ સ્કેમ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, સોશિયલ મીડિયા એકાઉન્ટ હેકિંગના જોખમો, OTP અને UPI છેતરપિંડી, QR કોડ ફ્રોડ, ફિશિંગ, માલવેર, રેન્સમવેર, ડીપફેક, AI આધારિત છેતરપિંડી તથા સોશિયલ એન્જિનિયરિંગ જેવા વિષયો અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવે છે.
સમાજ પ્રત્યેના તેમના યોગદાનને માન્યતા આપતા ભારતીય સેનાના નિવૃત્ત મેજર જનરલ જી.ડી. બક્ષી તથા ભારતના પૂર્વ રાજદૂત (IFS) ડૉ. દીપક વોહરા દ્વારા પણ તેમને સન્માનિત કરવામાં આવ્યા છે.
અંકિત જેસરનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક નાગરિકને સાયબર સુરક્ષા અંગે જાગૃત બનાવવાનો, ડિજિટલ ગુનાઓને અટકાવવામાં સહયોગ આપવાનો અને ટેક્નોલોજી દ્વારા સુરક્ષિત, સજાગ અને ડિજિટલ રીતે સશક્ત ભારતના નિર્માણમાં યોગદાન આપવાનો છે.


