વકિલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ્ય ન હોવો જોઇએ : ગુજરાત હાઇકોર્ટ
હત્યાના ગંભીર ગુનામાં નકલી દસ્તાવેવો રજૂ કરતા હાઇકોર્ટે વકીલને ખખડાવ્યા
અગ્ર ગુજરાત, અમદાવાદ
ગુજરાત હાઈકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન મહિલા વકીલની આકરી ઝાટકણી કાઢી છે. હત્યાના એક ગંભીર ગુનાના આરોપીના હંગામી જામીન મેળવવા માટે કોર્ટમાં નકલી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા. આ બાબત હાઈકોર્ટના ધ્યાને આવતાં જજ સાહેબે નારાજગી વ્યક્ત કરી હતી અને વકીલાતના વ્યવસાયની ગરિમા અંગે ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી.
હાઈકોર્ટે કડક શબ્દોમાં જણાવ્યું કે, જો કોઈ દસ્તાવેજ નકલી હોય અને તેની ખબર જજ (Judge) ને પડી જતી હોય, તો તે કેસ લડી રહેલા વકીલને કેમ ન પડે? કોર્ટમાં કોઈપણ દસ્તાવેજ કે પુરાવા રજૂ કરતાં પહેલાં તેની સત્યતા અને વિશ્વસનીયતા તપાસવી એ વકીલની પ્રાથમિક ફરજ છે. વકીલાત એ માત્ર પૈસા કમાવવાનો વ્યવસાય કે ઉદ્દેશ ન હોવો જોઈએ, પરંતુ ન્યાયિક પ્રક્રિયાને સાથ આપવાની પણ એક મોટી જવાબદારી છે.
આ સમગ્ર મામલાની પૃષ્ઠભૂમિ તપાસીએ તો, આરોપી સામે ખૂબ જ ગંભીર ગુનો નોંધાયેલો છે. આ આરોપીએ મુંબઈથી પોતાની પ્રેમિકાનું અપહરણ કર્યું હતું અને ત્યારબાદ તેની ઘાતકી હત્યા કરી નાખી હતી. આ ગુના હેઠળ જેલમાં બંધ આરોપીએ બહાર આવવા માટે હંગામી જામીનની અરજી કરી હતી.
અરજીને મજબૂત બનાવવા માટે વકીલ મારફતે કોર્ટ સમક્ષ કેટલાક કાગળો રજૂ કરાયા હતા, જે તપાસ દરમિયાન તદ્દન બોગસ અને નકલી સાબિત થયા હતા. કોર્ટે સ્પષ્ટ કર્યું કે કાનૂની વ્યવસાયમાં સચ્ચાઈ અને પારદર્શિતા અનિવાર્ય છે. આવા ગંભીર ગુનાના આરોપીઓ માટે કાયદાની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ સાંખી લેવામાં આવશે નહીં.


