- સુપ્રીમ કોર્ટે 13 માર્ચ સુધી ધરપકડમાં છૂટ આપી હતી,
- શુક્રવારે ઇડીએ હૈદરાબાદના નિવાસસ્થાન અને અન્ય સ્થળે ભારે સર્ચ કરી હતી
- રાષ્ટ્રીય તપાસ એજન્સી ઇડીએ હૈદરાબાદ ખાતેથી તેમની ધરપકડ કરી
દિલ્હી આબકારી કૌભાંડ મામલે સીબીઆઇ અને ઇડીની તપાસ અત્યાર સુધીમાં ઘણા મોટા રાજકીય નેતાઓ સુધી પહોંચી ચૂકી છે. આ કેસના મની લોન્ડરિંગ મામલે ઇડીએ તેલંગાણાના પૂર્વ સીએમ કે. ચંદ્રશેખર રાવનાં પુત્રી અને BRSનાં નેતા કે, કવિતાની શુક્રવારે ધરપકડ કરી લીધી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સી ઇડીએ હૈદરાબાદ ખાતેથી તેમની ધરપકડ કરી છે.
દિલ્હી આબકાર કૌભાંડ કેસ સાથે સંકળાયેલા કથિત મની લોન્ડરિંગ કેસમાં ઇડીએ શુક્રવારે ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એમએલસી કે. કવિતાના હૈદરાબાદ સ્થિત નિવાસસ્થાન સહિત અન્ય સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું. આ દરમિયાન ઇડીએ તેમની ધરપકડ કરી લીધી છે. માહિતી મુજબ તપાસ એજન્સીએ આ પગલું બે સમન બાદ પણ પૂછપરછ માટે હાજર ન રહ્યા બાદ ભર્યું છે. આની પહેલાં કે. કવિતાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. સુપ્રીમ કોર્ટે ઇડીને નિર્દેશ કર્યો કે તે 20 માર્ચ સુધી કવિતાને હાજર થવા માટેનો સમન ન મોકલે. બીઆરએસ નેતા કે. કવિતાની વચગાળાની રાહત જળવાઈ રહેશે. જોકે, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું કે તે વારે વારે આ પ્રકારે રાહતને આગળ નહીં વધારે. આની પહેલાં સુપ્રીમ કોર્ટે 13 માર્ચ સુધી ધરપકડમાં છૂટ આપી હતી.


