કાળીપાટમાં યુવાને અને તિલકપ્લોટમાં આધેડે આપઘાત કરી જીવન ટૂંકાવ્યું
18 વર્ષીય યુવાને ઘરમાં ગળાફાંસો ખાધો, તિલક પ્લોટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા 46 વર્ષીય વ્યક્તિએ પણ આપઘાત કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને તેની ભાગોળમાં આવેલા કાળીપાટ વિસ્તારમાં બે અલગ-અલગ બનાવોમાં એક યુવક અને એક આધેડે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લેતા પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. બંનેના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આપઘાત પાછળના કારણો હજુ સુધી સ્પષ્ટ ન થતાં સંબંધિત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રથમ બનાવ કાળીપાટ ગામે મહાકાળી મંદિર નજીકનો છે. અહીં રહેતા 18 વર્ષીય જયેશ રાયાભાઈ સોસાએ પોતાના ઘરે રૂમમાં લોખંડના એંગલ સાથે ચૂંદડી બાંધી ગળાફાંસો ખાઈ લીધો હતો. ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સની ટીમ સ્થળે પહોંચી હતી, પરંતુ તબીબી તપાસમાં યુવકનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજીડેમ પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યો હતો.
પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે જયેશનો પરિવાર મૂળ જસદણ તાલુકાના દહીંસરા જામ ગામનો વતની છે અને છેલ્લા ચારથી પાંચ વર્ષથી કાળીપાટ વિસ્તારમાં ખેતીકામ માટે રહે છે. જયેશ પોતાના પિતા સાથે ખેતીમાં હાથ બટાવતો હતો. છેલ્લા બે દિવસથી તે અસામાન્ય રીતે મૌન અને ઉદાસ રહેતો હોવાનું પરિવારજનોનું કહેવું છે. તેઓએ કારણ પૂછવા છતાં તેણે કંઈ જણાવ્યું નહોતું. એકના એક પુત્રના અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.
બીજો બનાવ રાજકોટ શહેરના તિલક પ્લોટ વિસ્તારમાં બન્યો હતો. અહીં રહેતા રમેશ ઉર્ફે મુકેશ રમણીકલાલ પરમાર ઉ.46 એ મોડી રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લીધો હતો. ગંભીર હાલતમાં તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. તેઓ બે ભાઈ અને બે બહેનમાં ત્રીજા ક્રમે હતા તેમજ પરિવાર પાછળ પત્ની, એક દીકરી અને બે દીકરાઓને વિલાપતા મૂકી ગયા છે. આપઘાત પાછળનું કારણ હજુ સામે આવ્યું નથી. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. બંને બનાવોમાં આપઘાતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને તપાસ હાથ ધરી છે.


