- અમેરિકાના વિદેશ મંત્રાલયે કહેલું, અમે CAAના અમલ પર નજર રાખીશું
- ભારતની સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે માહિતી ન હોય તેમનું લેક્ચર યોગ્ય નથી
- અમેરિકા દ્વારા ચિંતા પ્રકટ કરાતાં ભારતે વાંધો દર્શાવ્યો
નાગરિકતા સુધારા કાયદા બાબતે અમેરિકા દ્વારા ચિંતા પ્રકટ કરાતાં ભારતે વાંધો દર્શાવ્યો છે. વિદેશ મંત્રાલયે શુક્રવારે કહ્યું કે, આ ભારતની આંતરિક બાબત છે, એમાં અમેરિકાની ટિપ્પણી બિનજરૂરી અને અનિચ્છનીય છે. તદ્ઉપરાંત, તેમની પાસે નાગરિકતા સુધારા કાયદા બાબતની ખોટી માહિતી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે એક્ટના નોટિફિકેશન પર અમેરિકાની ચિંતાઓ સામે અમે સખત વાંધો દર્શાવીએ છીએ. આ આપણી આંતરિક બાબત છે અને અમેરિકાએ એના પર ટિપ્પણી ન કરવી જોઈએ. CAA મુદ્દે અમેરિકાના વિદેશ મંત્રાલયે ટિપ્પણી કરી હતી કે અમે CAA પર નજર રાખી રહ્યા છીએ. તેના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યૂ મિલરે કહ્યું હતું કે, અમે એ બાબત પર બારીક નજર રાખી રહ્યા છીએ કે આ એક્ટને કઈ રીતે લાગુ કરાય છે. હવે ભારતે કહ્યું કે, અમે તે લોકોનાં લેક્ચરની કશી પરવા નથી કરતાં, જેમને ભારતની વૈવિધ્યભરી સંસ્કૃતિ વિશે સીમિત માહિતી છે. જયસ્વાલે કહ્યું કે ભારતનું બંધારણ બધા વર્ગોને ધર્મનું સ્વાતંત્ર્ય આપે છે.
કાયદાથી માનવાધિકારોની રક્ષા થશે
વિદેશ મંત્રાલયે અમેરિકાને સાફ-સ્પષ્ટ શબ્દોમાં જવાબ આપતાં ઘણાં તથ્યોનો ઉલ્લેખ કર્યો હતો. મંત્રાલયે કહ્યું કે આ એક્ટથી અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં ધર્મના આધારે હેરાનગતિ ભોગવનારા અલ્પસંખ્યક હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને પારસી લોકોને શરણ આપવામાં આવશે. તેનાથી એવા લોકોને નાગરિકતા મળશે જે ડિસેમ્બર 20145 પહેલાં ભારત આવ્યા હતા. આ કાયદો નાગરિકતા આપવા માટે આવ્યો છે. આ કાયદો એવા લોકોને એક દેશની નાગરિકતા આપે છે જે અત્યારે કોઈ દેશના નથી. તેનાથી તેના માનવાધિકારોની રક્ષા થશે અને ગરિમા પણ વધશે.


