- શુક્રવારે સવારે સોસાયટીના લોકોએ શ્વાનના મોંમાંથી ફૂલ સમા શિશુને છોડાવ્યું
- પોલીસ દ્વારા નવજાત શિશુનાં મૃતદેહને પીએમ માટે રાજકોટ મોકલાયો
- સુરેન્દ્રનગરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના બનાવો વધુ પ્રકાશમાં આવી રહ્યા
ધ્રાંગધ્રા શહેરના હાઈવે પર આવેલ સોસાયટીના લોકોને સવારના સમયે એક શ્વાનના મોઢામાં નવજાત બાળક નજરે પડયુ હતુ. આથી લોકોએ શ્વાનના મોઢામાંથી બાળકને છોડાવી પોલીસને જાણ કરી હતી. પોલીસે દોડી જઈ નવજાત બાળકના મૃતદેહને પીએમ માટે રાજકોટ મોકલી આપ્યુ છે.
સુરેન્દ્રનગરમાં નવજાત બાળકોને તરછોડી દેવાના બનાવો વધુ પ્રકાશમાં આવી રહ્યા છે. થોડા સમય પહેલા ધ્રાંગધ્રાના જ બાઈસાબગઢ અને કંકાવટીની સીમમાંથી ત્યજી દીધેલ નવજાત મળી આવ્યુ હતુ. ત્યારે આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે. બનાવની મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા હાઈવે પર સત્યમ સોસાયટી આવેલી છે. આ સોસાયટીના લોકોને શુક્રવારે સવારના સમયે એક શ્વાનને મોઢામાં નવજાત બાળક લઈને પસાર થતો નજરે પડયો હતો. આથી લોકોએ શ્વાનના મોઢામાંથી બાળક છોડાવ્યુ હતુ. અને તુરંત પોલીસને જાણ કરી હતી. જેમાં ધ્રાંગધ્રા સીટી પોલીસની ટીમે જઈ તપાસ કરતા નવજાત બાળક મૃત્યુ પામ્યુ હતુ. આ બાળકને શ્વાને એટલુ ફાડી ખાધુ હતુ કે તે દિકરો છે કે દિકરી તેનો પણ ખ્યાલ આવે તેમ ન હતો. આથી બાળકના મૃતદેહને પીએમ માટે રાજકોટ ફોરેન્સીક પીએમ માટે લઈ જવાયુ છે. આધારભુત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ ધ્રાંગધ્રા ગ્રામ્યની એક મહિલાએ થોડા દિવસ પહેલા જિલ્લાના એક તાલુકાની મુખ્ય હોસ્પીટલમાં બાળકીને જન્મ આપ્યો હતો. પ્રસુતા બાદ જ તેઓ બાળકીને રાખવાનો ઈન્કાર કરતા હતા. ત્યારે આ એજ બાળકી છે કે શું તે દિશામાં તપાસ થાય તો સત્ય બહાર આવી શકે તેમ છે. જિલ્લામાં નીઃસંતાન દંપતીઓ સંતાન પ્રાપ્તી માટે પથ્થર એટલા દેવ પુજે છે. જયારે સામે લોકો પોતાનું પાપ છુપાવવા નવજાત બાળકોને તરછોડી દે છે તે પણ નરી વાસ્તવીકતા છે.


